નવજીવન ન્યૂઝ.મહેસાણાઃ મહેસાણા જિલ્લાના કડી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપ દ્વારા યોજાયેલા અભિવાદન સમારંભમાં પૂર્વ ઉપમુખમંત્રી નીતિન પટેલ તીખા અંદાજમાં જોવા મળ્યા હતા. જાહેર મંચ પરથી પોતાના રાજકીય અનુભવો શેર કરતાં તેમણે નવા ચૂંટાયેલા ભાજપના નેતાઓને સીધી ટકોર કરી હતી અને પોતાની જ પાર્ટીના પ્રતિનિધિઓને કામ કરવાની શિખામણ આપી હતી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે આજકાલ કેટલાક લોકોને રાજકારણમાં ઘણી બાબતો સરળતાથી મળી જાય છે, પરંતુ તેઓએ ભૂતકાળનો સંઘર્ષ ક્યારેય ભૂલવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે, કેટલાક નેતાઓ મોદી સાહેબ અને કમળના નિશાનના આધારે ચૂંટણી જીતી જાય છે અને પછી ખિસ્સામાં હાથ નાખીને ફરતા રહે છે, પરંતુ ભાજપને આ સ્થાન સુધી પહોંચાડવા પાછળ કેટલો સંઘર્ષ થયો છે તેની સમજ હોવી જરૂરી છે.
તેમણે જૂના કાર્યકરોના યોગદાનને યાદ કરતાં કહ્યું હતું કે 1990ના દાયકામાં ભાજપ માટે પ્રચાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તે સમય દરમિયાન કાર્યકરોએ ભારે મહેનત, પરસેવો અને સંઘર્ષ કરીને પક્ષને મજબૂત બનાવ્યો હતો. આજની સફળતા સહેલાઈથી મળી નથી.
નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંદેશ આપતાં નીતિન પટેલે કહ્યું હતું કે માત્ર મીઠો આવકાર અને સન્માનથી કંઈ બદલાતું નથી. પ્રજાનો વિશ્વાસ જીતવો હોય તો મેદાનમાં ઉતરીને નક્કર કામ કરવું જરૂરી છે. તેમના આ નિવેદનને રાજકીય વર્તુળોમાં નોંધપાત્ર સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.








