નવજીવન ન્યૂઝ.ઉનાઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ડીઝલની અછતને કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો, વેપારીઓ અને પરિવહન સાથે જોડાયેલા લોકોને હાલાકી ન પડે તે માટે યાર્ડ તંત્રએ આજથી અનિશ્ચિત કાળ માટે હરાજી પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, જિલ્લામાં અનેક પેટ્રોલપંપ પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી, જેના કારણે ખેતી અને પરિવહન સંબંધિત કામગીરી પર સીધી અસર પડી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતો પોતાની જણસીઓ લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચે અને પછી મુશ્કેલીમાં મુકાય નહીં, તેમજ અનાવશ્યક આર્થિક નુકસાનથી બચી શકે તે હેતુથી તાત્કાલિક અસરથી તમામ પ્રકારની કૃષિ જણસીઓ યાર્ડમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માર્કેટયાર્ડ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સૂચના જાહેર ન થાય ત્યાં સુધી હરાજી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રહેશે. હાલ ડીઝલ પુરવઠાની સ્થિતિ અનિશ્ચિત હોવાથી આ નિર્ણય પણ અનિશ્ચિત સમય સુધી અમલમાં રહેશે.
આ નિર્ણય બાદ ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને કૃષિ પેદાશોનું વેચાણ અટકતાં ખેડૂતોને આર્થિક અસરનો ભય સતાવી રહ્યો છે. હવે ડીઝલની અછત ક્યારે દૂર થશે અને કોડીનાર માર્કેટિંગ યાર્ડ ફરી ક્યારે શરૂ થશે તેના પર સૌની નજર ટકેલી છે.








