નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નિવૃત્ત જસ્ટિસ બિરેન એ. વૈષ્ણવ (Biren Vaishnav Retired Justice) ની રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરાઈ છે. ગાંધીનગર રાજભવનમાં યોજાયેલા એક સમારંભમાં બિરેન વૈષ્ણવએ શપથ ગ્રહણ કરીને વિધિવત રીતે હોદ્દો સંભાળ્યો (Biren Vaishnav takes oath as Gujarat Lokayukta) હતો. લોકાયુક્ત સંસ્થા ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને વહીવટી પારદર્શિતા માટે લોકશાહીનો એક મજબૂત સ્તંભ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat) બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો અને ન્યાયિક ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી નવનિયુક્ત લોકાયુક્તને શુભકામના પાઠવી હતી.








