નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : પવિત્ર ગિરનારની તળેટી સહિત જૂનાગઢ પર પ્રદૂષણનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ગિરનાર હિત રક્ષક સમિતિના ભાવેશભાઈ વેકરીયાએ સોશિયલ મીડિયા પર જારી કરેલા વીડિયોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને ઝેર ઓકતી ફેક્ટરીઓ ચલાવતા માલિકો વચ્ચેની સાંઠગાંઠ (Blessings of GPCB officials to chemical factory owners) ના ગંભીર આરોપ લગાવ્યા છે. ભેસાણ ચોકડી પાસે આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને કારણે જૂનાગઢની 5 લાખની જનતાનું આરોગ્ય જોખમમાં છે. ભૂર્ગભ જળ એટલી હદે દૂષિત કરી નાંખ્યું છે કે, જમીનમાંથી લાલ પાણી નીકળે છે. ઝેર ફેલાવતી ફેકટરીઓ 15 દિવસમાં બંધ નહીં થાય તો આંદોલન કરવાની ભાવેશ વેકરીયાએ ચીમકી (Bhavesh Vekaria threat to stage a protest) આપી છે.
ભાવેશ વેકરીયાએ કહ્યું કે, કેમિકલ ફેક્ટરીઓમાં નીકળતા ઝેરી ધૂમાડાના કારણે હવાનું સ્તર અત્યંત કથળી ગયું છે. સ્થાનિક લોકો શ્વાસના રોગોના શિકાર બની રહ્યાં છે. પ્રકૃતિથી ભરપૂર ભવનાથ તળેટી જેવા વિસ્તારમાં પણ હવે ઝેરી ગેસની દુર્ગંધ અનુભવાય છે. ભૂર્ગભ જળની સ્થિતિ તો અત્યંત ભયાવહ છે. કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પ્રવાહી બારોબાર જમીનમાં ઉતારી રહી છે. જેના કારણે ખેડૂતો સિંચાઈ માટે બોર ચાલુ કરે તો ભૂર્ગભમાંથી લાલા રંગનું ઝેરી પાણી નીકળે છે. જૂનાગઢ (Junagadh) ની આસપાસના સરગવાડા, સાબલપુર, દોલતપરા અને સુખપુર જેવા ગામોની સ્થિતિ દયનીય બની છે. ઝેર ફેલાવતી કેમિકલ ફેક્ટરીઓના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel CM Gujarat) સુધી પણ રજૂઆત પહોંચાડવામાં આવી છે.








