નવજીવન ન્યૂઝ, આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાં અહીમા-લાલપુરા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવારનું મોત (Death in vehicle accident in Anand district) નિપજ્યું છે. બેફામ ગતિએ દોડી આવતી કારે બાઈકને ટક્કર મારતા 25 વર્ષીય યુવાને સ્થળ પર જ શ્વાસ છોડી દીધા હતા. આ અંગે મૃતકના ભાઈ કમલેશકુમાર પરમારે ખંભોળજ પોલીસ મથકે (Khambholaj Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક રોહિત બાબુભાઈ કાકડીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શિલી ગામના અર્જુન બલસિંહ પરમાર (ઉ. ૨૫) પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. દરમિયાનમાં અહીમા-લાલપુરા રોડ પર આવેલા મહાકાળી માતાના મંદિર નજીક પૂરઝડપે આવતી વડોદરા પાસિંગની કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત થતા અર્જુન પરમાર રોડ પર પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં અર્જુન પરમારને ઓડ સી.એચ.સી. (Odd CHC centre) ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.








