નવજીવન ન્યૂઝ, ભાવનગર : 12 દિવસ અગાઉ ભાવનગરના તળાજા શહેર (Talaja Bhavnagar) માં વૃદ્ધ સોની દંપતીની તેમના ઘરમાંથી સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. શોટ સરકીટના કારણે આગ લાગવાથી દંપતીનું મોત થયું હોવાની જાહેરાત અંગે પોલીસને શરૂઆતથી જ શંકા હતી અને આ શંકા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચી પડી. દેવું વધી જવાના કારણે ખુદ પુત્રએ તેની પત્ની તેમજ બે ભાડૂતી શખસોની મદદ મેળવી માતા-પિતાની હત્યા કરાવી (Son along with wife killed parents) અને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે તળાજા પોલીસ સ્ટેશન (Talaja Police Station) માં વિમલ કિશોરભાઈ વૈઠા અને તેની પત્ની હેતલ સામે ખુદ મામાએ ફરિયાદ નોંધાવી છે.
કિશોરભાઈ વૈઠા અને તેમના પત્ની રેખાબહેન તળાજા રામ ટેકરી વિસ્તારમાં વૃદ્ધ દંપતી તેમના પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા. પુત્ર વિમલને દેવું થઈ ગયું હોવાથી તે પોતાના પિતા પાસે અવારનવાર રૂપિયા માગતો હતો. પિતા પૈસા નહીં આપતા હોવાથી વિમલે તેની પત્ની હેતલ સાથે મળીને વૃદ્ધ માતા-પિતાને પતાવી દેવાનું કાવતરૂં રચ્યું. રાજકોટના બે શખસોની મદદ લઈને બાર દિવસ અગાઉ વૃદ્ધ પિતા અને માતાનું અનુક્રમે ગળું તેમજ ગળું તથા મોઢું દબાવીને હત્યા કરી નાંખી તેમના મૃતદેહ સળગાવી દીધા હતા. વૃદ્ધ માતા-પિતાની હત્યા થતી જોઈ નહીં શકું તેમ કહીને વિમલ ગુનાના સમયે મિત્ર સાથે ઘરથી દૂર ચાલ્યો ગયો હતો. હત્યાને છુપાવવા માટે વિમલ અને તેની પત્નીએ ઘરમાં શોટ સરકીટથી આગ લાગી હોવાની વાર્તા ઘડી કાઢી હતી. આ મામલે તળાજા પોલીસે હત્યારા પુત્ર, પુત્રવધુ સહિત ચાર શખસોની અટકાયત (Murderous couple arrested by Talaja police) કરી છે.








