નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : મહિના બાદ ફરી એક વખત ગાંધીનગર જિલ્લામાં ગૌવંશ ચોર ટોળકી (Cow Thief Gang) સક્રિય થઈ છે. ગત ફેબ્રુઆરી મહિનાના અંતમાં ઈસનપુર મોટા ગામમાં 4 પશુઓની ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. હવે કલોલ તાલુકાના બે ગામની સીમમાંથી રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા શખસો શંકર ગાય સહિત ચાર પશુઓ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ભૂતકાળમાં ગાંધીનગરના કલોલ વિસ્તારમાં ગૌવંશની કતલની પણ ઘટનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે.
પશુ ચોર ગેંગનો આતંક, 4 પશુ ચોર્યા
કલોલ તાલુકાના કોઠા ગામે રહેતા અને પશુપાલક કાનજીભાઈ બળદેવભાઈ રબારીએ પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીની ફરિયાદ આપી છે. ગત 26 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે તેઓ ઘરની પાછળ આવેલા ખુલ્લા વાડામાં 45 જેટલી ગાયો દોહીને સૂઈ ગયા હતા. વહેલી સવારે ગાયો દોહવા કાનજીભાઈ રબારી વાડામાં આવ્યા ત્યારે તેમને જાણ થઈ હતી કે, એક દેશી ગાય અને એક શંકર ગાય કોઈ અજાણ્યા શખસો ચોરીને ફરાર થઈ ગયા છે. આ ઉપરાંત મોખાસણ ગામની સીમમાં રહેતા ગગાભાઈ માલુભાઈ ભરવાડની પણ 10 હજારની કિંમતની બે વાછરડીઓ ચોરાઈ ગઈ છે. આમ તસ્કરોએ એક જ રાતમાં બે સ્થળેથી ગૌવંશની ચોરીને અંજામ આપતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશન (Kalol Taluka Police Station) ખાતે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિના અગાઉ પણ પશુઓની થઈ હતી ચોરી
ગાંધીનગર તાલુકાના ઇસનપુર મોટા ગામમાં રહેતા પશુપાલકના ચાર પશુઓની તસ્કરો ચોરી કરી ગયા છે. ગત ફેબ્રુઆરી મહિનાના અંતમાં ઘર પાસેના ગમાણમાં બાંધેલા પશુઓ ચોરી થઈ ગયા હતાં. તપાસમાં મોટા વાહન સાથે આવેલા અજાણ્યા શખ્સો પશુઓને તેમાં ભરીને નાસી છૂટ્યા હતા. આ ઘટના બેએક દિવસ અગાઉ અડાલજ પાસે રાત્રે પશુ ચોર ટોળકી વાછરડાને લક્ઝૂરિયસ કારમાં લઈ ઉઠાવી ગઈ હતી.








