નવજીવન ન્યૂઝ, અમદાવાદ: શહેરના દાણીલીમડામાં આવેલી પોલીસ લાઇનમાં રહેતા અને એ ડિવિઝન ટ્રાફિસ પોલીસમાં ફરજ બતાવતા મુકેશ પરમારની તેની પત્ની સંગીતાએ જ ઘરમાં હત્યા કરી પોતે આત્મહત્યા કર્યાનો ચકચારી બનાવ ગઇકાલે બન્યો હતો.
આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે મુકેશને એક મહિલા પોલીસકર્મી સાથે લગ્નેતર સંબંધો હતા અને તે થોડા દિવસ પ્રેમિકા સાથે તો થોડા દિવસ પત્ની સાથે રહેતો હતો. જેથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થયા કરતા હતા. આવી જ રીતે ગઇકાલે પણ ઝઘડો થયો હતો. જેમાં મુકેશે પત્ની સંગીતાને હેલ્મેટ માર્યું હતું, જેથી ગુસ્સે થયેલી પત્નીએ ઘરમાં પડેલા ઘોડિયાનો પાયો લીધો હતો અને પતિને માથામાં ઝીંકી દીધો હતો. જેથી મુકેશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું.
સંગીતાને પહેલા તો લાગ્યું કે પતિ બેભાન થઇ ગયો છે તેથી તેણે લોહી રોકવા માટે પતિની નીચે કપડું મુક્યું હતું. પરંતુ પતિના શ્વાસ થંભી જતાં પત્ની સંગીતાએ પણ સુસાઇડ નોટ લખી હતી અને પોતે પણ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું. હતું. આ સમગ્ર ઘટના દરમિયા આઠ વર્ષનો પુત્ર ઘરે હતો જેણે રડતાં રડતાં આ સમગ્ર ઘટનાની પડોશીઓને જાણ કરી હતી અને ત્યાર બાદ પડોશીઓએ પોલીસમાં જાણ કરી હતી.








