પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ) :ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બે દિવસમાં આમ આદમી પાર્ટી ત્રણ નેતાઓને ખેરવી નાખ્યા છે જેમાં વિજય સુવાળા અને નીલમ વ્યાસે તો કેસરી ખેસ પણ પહેરી લીધો છે, જયારે મહેશ સવાણી તબીયત અને સેવાનું કારણ આપી આમ આદમી પાર્ટી છોડી છે, પણ રાજકિય વર્તારો કહે છે કે મહેશ સવાણી કમલમથી બહુ દુર નથી. જો કે ભાજપના સુત્રોની માનીએ તો આ ટ્રેલર છે હજી આપનું પીકચર બાકી છે. આમ આદમી પાર્ટીમાં પડેલા ભંગાણનો આનંદ ભાજપમાં હોવો જોઈએ તેના કરતા વધારે ગુજરાત કોંગ્રેસમાં છે, કારણ કે ગાંધીનગર કોર્પોરેશનની સહિતની વિવિધ ચુંટણીના પરિણામ જોઈએ તો આપ બીજા નંબરના પક્ષ તરીકે મત મેળવ્યા પણ તે ભાજપના ગઢમાં ગાબડુ પાડવામાં સફળ થવાને બદલે કોંગ્રેસના મત તોડવામાં સફળ રહી.
ગુજરાતના રાજકારણના ગણિતને સમજીએ તો ગુજરાતમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બે જ પક્ષનું મહત્વ રહ્યુ છે, ગુજરાતના મતદારોએ ત્રીજા પક્ષને કયારેય સ્થાન આપ્યુ નથી, આ કોઈ અંતિમ સત્ય પણ નથી છતાં ગાંધીનગર કોર્પોરેશન સહિતની વિવિધ ચુંટણીના પરિણામ જોઈએ તો આપ અને કોંગ્રેસના મત ભેગા કરવામાં આવે તો ભાજપના ઉમેદવારોને મળેલા મત કરતા અનેક ગણા વધારે છે, જયારે ભાજપને મળતા મતમાં કોઈ વધારો પણ થયો નથી અને ઘટાડો પણ થયો નથી, પરંતુ આપે જે મત તોડયા અને બીજા નંબર ઉપર આવી તે તમામ મત કોંગ્રેસના હતા, જેના કારણે રાજકિય સમીક્ષકો આખી ઘટનાને સમજવાનો પ્રયત્ન કરતા હતા કે આપને સત્તા સુધી જવામાં રસ છે કે કોંગ્રેસને સત્તા તરફ જતી રોકવામાં રસ છે.
જેના કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપર આરોપ થઈ રહ્યો છે કે આપ ગુજરાત ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે, કારણ આમ આદમી પાર્ટી ભાજપને નુકશાન કરી શકતી નથી પણ મતોનું વિભાજન કરે છે જેના કારણે કોંગ્રેસના મતોને નુકશાન કરે છે, જો કે થોડા દિવસ પહેલા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યુ હતું કે લોકો અમને ભાજપની બી ટીમ હોવાનો આરોપ મુકી રહ્યા છે પરંતુ અમે વિવિધ ચુંટણીમાં 20 ટકા કરતા વધુ મતો મેળવી બીજા નંબરની પાર્ટી બની ગયા છીએ ત્યારે કઈ રીતે અમને ભાજપની બી ટીમ માનવામાં આવે છે.
ગોપાલ ઈટાલીયાનો તર્ક સાચો પણ છે છતાં આપને મળેલા 20 ટકાને કારણે ભાજપના મતનું વિભાજન થયુ નથી, પણ કોંગ્રેસના મતોનું વિભાજન થયુ છે, આપની મર્યાદા પણ છે તેમની પાસે ફંડ અને સંગઠન નથી છતાં તેની જમા બાજુ પણ છે કે આપને રસ્તા ઉપર ઉતરી આંદોલન કરતા આવડે છે. કારણ લાંબો સમય સત્તામાં અને લાંબો સમય વનવાસ મળ્યા પછી કોંગ્રેસ તો આંદોલન કરવાનું ભુલી જ ગઈ છે, કોંગ્રેસના તમામ કાર્યક્રમ પ્રતિકાત્મક હોય છે, આમ ગુજરાતમાં આપની હાજરી ગુજરાત કોંગ્રેસને નુકશાન કરી રહી છે તેમાં કોઈ શંકા નથી 2017માં કોંગ્રેસે જીતેલી 30 બેઠકો આવી છે કે જે કોંગ્રેસના ઉમેદવાર 1500 કરતા પણ ઓછા મતે જીત્યા છે, 2022ની ચુંટણીમાં જો આપ મેદાનમાં એકલા હાથે ચુંટણી લડે તો કોંગ્રેસ જે માત્ર 1500 મત જીતી છે તેવી 30 બેઠકોમાં મતોનું વિભાજન થાય તો ભાજપ આરામથી 125 બેઠકોનો આંકડો પાર કરે તેમાં કોઈ શંકા નથી.
જો આમ આદમી પાર્ટી ભાજપની જ બી ટીમ છે તો આપમાંથી ગાબડુ પાડી તેના નેતાને ભાજપમાં શુ કામ લેવામાં આવે છે તેવો પ્રશ્ન પણ થાય પણ તેની પાછળનું કારણ એવુ છે કે ગુજરાતમાં આપની હાજરી ભાજપના ફાયદામાં છે તેમાં કોઈ શંકા નથી, આમ છતાં આપમાં રહેલા કેટલાંક નામો જે ભવીષ્યમાં ભાજપને નાનુ મોટુ નુકશાન કરાવી શકે તેવા નામોની આપમાંથી બાદબાકી થાય અને ભાજપમા જમા થાય તે પણ જરૂરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












