Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadહિંદુ મહાસભા અને મુસ્લિમ લીગનું ગઠબંધન

હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગનું ગઠબંધન

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election 2024) અનુલક્ષીને કોંગ્રેસે ઢંઢેરો પ્રકાશિત કર્યો છે. કોંગ્રેસના આ ઢંઢેરાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી ટિપ્પણી કરી કે, કોંગ્રેસનો ઢંઢેરો મુસ્લિમ લીગની (Muslim League) છાપ ધરાવે છે. મુસ્લિમ લીગની વાત ભારતમાં નાબૂદ થયાને સાડા સાત દાયકા જેટલો સમય વીતી ગયો છે, પરંતુ મુસ્લિમ લીગની વાત આજેય દેશના ચૂંટણીમાં મૂકાય છે અને તેના પર રાજનીતિ થાય છે. મુસ્લિમ લીગ દેશના આઝાદી અગાઉ મુસ્લિમોની તરફેણ કરનારો પક્ષ હતો, પરંતુ તે પક્ષમાં પછીથી કટ્ટરવાદ ભળતો ગયો અને દેશના વિભાજન સુધી વાત પહોંચી. મુસ્લિમ લીગની સામે તે વખતે દેશમાં સૌથી મજબૂત પક્ષ કોંગ્રેસ હતો. તે વખતની કોંગ્રેસમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ જેવાં અગ્રગણ્ય આગેવાનો હતા. મુસ્લિમ લીગના સૌથી મહત્ત્વના આગેવાનોમાંથી એક મોહમ્મદ અલી જિન્નાહ હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આમનેસામને હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઢંઢેરાને મુસ્લિમ લીગની છાપ ધરાવનારો કહ્યો. તો તેના જવાબરૂપે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડેગેએ એમ કહ્યું કે, ભાજપની વૈચારીક માતૃસંસ્થા હિંદુમહાસભાએ (Hindu Mahasabha) ભારતવિરોધી મુસ્લિમ લીગ અને બ્રિટિશરોને સાથ આપ્યો હતો. અને સાથે-સાથે એમ પણ કહ્યું મુસ્લિમ લીગ સાથે હિંદુ મહાસભાએ તે સમયે ત્રણથી વધુ પ્રાંતોમાં સંયુક્ત સરકાર બનાવી હતી. મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા સાથે હોય તે વાત આજે ઘણાંને સાચી ન પણ લાગે. અને એટલે આ અંગે થોડી છણાવટ કરી તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘ધ વાયર’, ‘ન્યૂઝક્લિક’ અને ‘વિકિપિડિયા’ પર પણ સુધ્ધા અનેક એવી સ્ટોરીઝ મળે છે; જેમાં એ વાત પુરવાર થાય છે કે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ ગઠબંધન કર્યું હતું, અને સાથે સરકાર ચલાવી હતી.

Muslim League
Muslim League

ઇતિહાસમાં ઊઠાં ભણાવવાનો દોર ચાલી રહ્યો છે ત્યારે તથ્યો ઉજાગર કરવાનું મુશ્કેલ બન્યું છે. પરંતુ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ ગઠબંધન કર્યું હતું તેમાં ઝાઝી છણાવટ કરવી પડતી નથી. પહેલાં તો એમ સમજી લઈએ કે એવી સ્થિતિ કેમ ઊભી થઈ કે આ બંને પક્ષોએ સાથે આવ્યાં. આઝાદી કાળમાં 1935માં અંગ્રેજો સાથે સ્થાનિક પક્ષો સાથે થયેલાં ઠરાવ મુજબ 1937માં પ્રાંતીય ચૂંટણીઓ થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે પૂરા દેશમાં સારું પ્રદર્શન કર્યું અને કુલ 1585માંથી 711 બેઠકો પર કોંગ્રેસને જીત મળી. અગિયાર રાજ્યોમાંથી મદ્રાસ, બિહાર, ઓરિસ્સા, મધ્ય પ્રાંત અને સંયુક્ત પ્રાંતમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતિ મળી હતી. આ ઉપરાંત, મુંબઈમાં પણ એટલી બેઠકો મળી કે કોંગ્રેસની સરકાર રચાઈ. તે પછી વાયવ્ય-સહહદ પ્રાંત અને આસામમાં પણ કોંગ્રેસ દ્વારા સરકારની સ્થાપના થઈ. જોકે સિંધ, પંજાબ અને બંગાળ આ ત્રણ પ્રાંતમાં બિન-કોંગ્રેસી સરકાર આવી. સિંઘમાંથી ‘સિંધ યુનાઇટેડ ફ્રન્ટ’, પંજાબમાં સિકંદર હયાતની ‘યુનિયનિસ્ટ પાર્ટી’ અને બંગાળમાં સૌથી વધુ કોંગ્રેસને 54 બેઠકો મળી હોવા છતાં ફઝલુહ હકની ‘કૃષિ પ્રજા પાર્ટી’એ મુસ્લિમ લીગ સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં મુસ્લિમ લીગને 482 બેઠકો પર માત્ર 106 બેઠકો પર વિજય મળ્યો હતો, જ્યારે સિંઘ, પંજાબ અને બંગાળમાં મુસ્લિમ લીગનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. વિનાયક સાવરકરના નેતૃત્વ નીચે લડનારી હિંદુ મહાસભાનું પ્રદર્શન આ ચૂંટણીમાં જરાય પ્રોત્સાહક નહોતું.

- Advertisement -

ઉપરની વિગત પરથી એટલું તો ખ્યાલ આવે છે કે એ વખતે કોંગ્રેસ મજબૂત પક્ષ હતો અને મુસ્લિમ લીગ, હિંદુ મહાસભાનો કોઈ પ્રભાવ પ્રજા પર નહોતો. મતલબ કે આ બંને પક્ષ કોઈ પણ રીતે સત્તામાં આવી શકે એમ નહોતા. આ દરમિયાન 1939ના સપ્ટેમ્બર મહિનામાં વાઇસરૉય લિનલિથગો હિંદુસ્તાનને વિશ્વયુદ્ધમાં સામેલ કરવાનો નિર્ણય લે છે. આ નિર્ણય લેતાં અગાઉ વાઇસરૉયે સૌથી મોટા પક્ષ કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષો પાસેથી સલાહ સૂચન ન લીધા. કોંગ્રેસે તેનો વિરોધ કર્યો અને તેને લઈને વાઇસરૉય વિરુદ્ધ અવાજ ઉઠ્યો. પહેલાં તો કોંગ્રેસે યુદ્ધ પૂર્ણ થાય એટલે તુરંત હિંદુસ્તાનને આઝાદી આપવા અંગે ખાતરી આપવાની વાત વાઇસરૉયને જણાવી. ખાતરી આપે તો યુદ્ધમાં સામેલ થવા અંગે વિચાર થઈ શકે એમ હતો. પરંતુ વાઇસરૉય કોઈ પણ જાતની ખાતરી આપવાનો ઇનકાર કર્યો. એટલે કોંગ્રેસ પાસે વિરોધના ભાગરૂપે રાજીનામાં આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. એ રીતે આખરે 1939ના ઑક્ટોબર મહિનામાં કોંગ્રેસના મંત્રીઓએ રાજીનામાં આપવાની શરૂઆત કરી. અહીં કોંગ્રેસના આગેવાનો રાજીનામાં આપી રહ્યા હતા ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાને લાગ્યું કે આ સમયે શાસનમાં આવી શકાય એમ છે. એટલે બંગાળમાં ફઝલુહ હકની ‘કૃષિ પ્રજા પાર્ટી’ને હિંદુ મહાસભાએ સમર્થન આપ્યું. ‘કૃષિ પ્રજા પાર્ટી’ને અગાઉથી જ મુસ્લિમ લીગે સમર્થન આપ્યું હતું, એ રીતે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા એક જ બેન્ચ પર આવીને બેઠા. હિંદુ મહાસભાના અગ્રગણ્ય નેતા શ્યામા પ્રસાદ મુખર્જી ફઝલુહ હકની સરકારમાં નાણાં મંત્રી બન્યા. એ રીતે આ ગાળામાં હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ સિંધ અને વાયવ્ય-સરહદ પ્રાંતમાં પણ ગઠબંધનમાં આવ્યા. 3 માર્ચ 1943ના રોજ સિંધ વિધાનસભામાં જી.એમ. સૈયદ નામના એક આગેવાન દ્વારા ‘હિંદુસ્તાનના મુસ્લિમોને અલગ દેશ’ એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ત્યારે હિંદુ મહાસભા સરકારમાં હતી. હિંદુ મહાસભાએ તેનો વિરોધ ચોક્કસ કર્યો હતો પરંતુ તેમ છતાં તેઓ સરકારમાં રહ્યા હતા.

આ સંદર્ભે 1942માં કાનપુરમાં હિંદુ મહાસભાના યોજાયેલા એક પરિષદમાં વિનાયક સાવરકર વક્તવ્ય આપ્યું હતું તે ‘હિંદુ નેશનલિઝમ્ અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ’ નામની પુસ્તકમાં આપવામાં આવ્યું છે. આ પુસ્તક ઇતિહાસકાર શમસુલ ઇસ્લામે લખેલું છે અને તેઓ સાવરકરનું ભાષણ ટાંકે છે, જેમાં તેમણે કહ્યું હતું કે, અમે બ્રિટિશરો સાથેની ‘હકારાત્મક સહયોગ’ની નીતિને વળગી રહીશું, કારણ કે તેમના મતે કોંગ્રેસ ખોટી રીતે રાષ્ટ્રીય સંસ્થા કહેવડાવાતી હતી. સાવરકરનું વલણ એવું હતું કે ‘વ્યવહારુ રાજકારણ’માં કેટલાંક ‘વાજબી સમાધાન’ કરવાના થાય છે અને એ રીતે ‘પ્રજાહિતમાં તમે રાજકીય સત્તા મેળવી શકો છો.’

આઝાદી પૂર્વેની કોંગ્રેસ તે આજની કોંગ્રેસ નથી અને તે અગાઉની ભાજપની માતૃસંસ્થા હિંદુ મહાસભા આજની ભાજપ નથી. તેમ છતાં જ્યારે એકબીજા પર આક્ષેપ થાય છે અને ઇતિહાસને ખોટી રીતે ટાંકવામાં આવે ત્યારે તેમાં સચ્ચાઈ શું છે તે જાણવું રહ્યું. આ ગાળામાં ઇતિહાસમાં બનેલી ઝપાટાબંધ બનાવોમાં એક હિંદ છોડો આંદોલન છે. આ આંદોલન 1942માં શરૂ થયું અને તે પછી કોંગ્રેસના મહદંશે આગેવાનોની ધરપકડ થઈ. લોકોએ હડતાળ પાડી અને અંગ્રેજોનું દમન શરૂ થયું. જ્યારે પૂરા દેશમાં અંગ્રેજોનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ આ આંદોલનમાં સામેલ થયા નહોતા. એટલું જ નહીં તેમનું સમર્થન અંગ્રેજોના પક્ષે હતું. સાવરકરે તો હિંદુ મહાસભાના સભ્યોને પત્ર લખીને પોતાના પદ પર રહેવા જણાવ્યું હતું અને હિંદ છોડો આંદોલનમાં સામેલ ન થવા માટે પણ કહ્યું હતું. સાવરકરની જેમ હિંદુ મહાસભાના તત્કાલિન અગ્રગણ્ય નેતા શ્યામા પ્રસાદ મુખરજીનું પણ માનવું એમ જ હતું.

- Advertisement -

અને એટલે જ એવું કહેવાય છે કે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગમાં અનેક સમાનતા જોઈ શકાય છે. બંને પક્ષ ‘એક ધર્મ, એક સંસ્કૃતિ ને એક ભાષા’ પર રચાયા છે. પૂર્વીય યુરોપનો સંકુચિત રાષ્ટ્રવાદ આ બંને પક્ષોએ ઓઠ્યો છે. હિંદુ મહાસભા હંમેશા હિંદુ બોલતા હિંદુઓ માટે દેશ બનાવવાનો ખ્યાલ રાખ્યો છે, જ્યારે મુસ્લિમ લીગે ઉર્દૂ બોલતા મુસ્લિમો માટે. એ રીતે બંને પક્ષો એકબીજાની વિરુદ્ધ નીતિ ઘડતા રહ્યા, પરંતુ જ્યારે સત્તામાં આવવાનું થયું તો તેમણે સામે છેડે ઊભેલાં પક્ષ સાથે હાથ મિલાવવા માટે જરાસરખો સંકોચ ન રાખ્યો.

એ વખતના ઇતિહાસની સાવ સતહ પરની વિગતો છે. તત્કાલિન સમયે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગે કરેલા સમાધાનોની યાદી લાંબી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular