નવજીવન ન્યૂઝ. રાજકોટઃ આપણે ભલે 21મી સદીના આધુનીગ યુગમાં પ્રવેશ્યા હોઈએ, પરંતું હજુ પણ કેટલાક લોકોની માનસીકતા બદલાઈ નથી. તાંત્રિકો વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરતાં હોવાના અનેક કિસ્સા અગાઉ સામે આવ્યા છે. તેમ છતાં કેટલાક લોકો સમસ્યાના સમાધાન માટે તાંત્રિકોની જાળમાં ફસાતા હોય છે. ત્યારે રાજકોટના એક પૂજારી પણ તાંત્રિકની વાતોમાં આવી જતાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે ગીર સોમનાથ પોલીસે ઠગ તાંત્રિક અને તેની ટોળકીને ઝડપી પાડીને 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તાંત્રિક ટોળકોનો પર્દાફાશ કરતાં ગીર સોમનાથના એસ. પી. મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2 વર્ષ અગાઉ રાજકોટમાં રહેતા હરકીશન ગૌસ્વામી નામના પૂજારીને આશ્રમ બનાવા માટે રૂપિયાની જરૂરીયાત હતી. જે અંગેની વાત અલ્તાફ સમાને કરી હતી. ત્યારે અલ્તાફે કહ્યું કે, તાલાલાના પાણીકોઠા ગામમાં રહેતા એક મુસાબાપુને સાક્ષાત માતાજી આવે છે અને તે 500 કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે, જેના માટે વિધિ કરાવી પડશે.
વિધિ કરાવા માટે હરકીશનને તાલાલાના પાણીકોઠા ગામમાં મુસાબાપુની વાડીમાં લઈ ગયા હતા, જ્યાં રાત્રીના સમય દરમિયાન તેમને કુંડાળામાં બેસાડીને મુસાબાપુએ વિધિ હતી. વિધિ ચાલુ હતી ત્યારે અચાનક લાંબી કાળા વસ્ત્રો ધારણ કરેલી વ્યક્તિ પ્રકટ થઈ હતી, જે માતાજી હોવાનું મુસાબાપુએ જણાવાવ્યું હતું કે, માતાજી આ ભેખધારી માણસને રૂપિયાની જરૂરીયાત છે, તમે કૃપા કરો. આટલુ કહેતા જ માતાજી ગાયબ થઈ ગયા હતા.
ત્યાર બાદ મુસાબાપુએ કહ્યું હતું કે, માતાજીને પ્રસન્ન કરાવા માટે રૂપિયા 5.5 લાખનું કામરૂપ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવુ પડશે, જેથી થોડા દિવસ પુરતા વ્યાજે રૂપિયા લઈ લો પછી હું તમને રૂપિયાનો ઢગલો કરી દઈશ તેમાંથી પરત આપી દેજો. તાંત્રિકની વાતમાં આવીને હરકીશને તેમના બહેન અને સેવકો પાસેથી રૂપિયા ભેગા કરીને 15 લાખ જેટલી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લાવવા માટે મુસાબાપુને આપ્યા હતા.
મુસાબાપુએ વિધિ કરતાં ફરી એક વખત અચાનક લાંબી કાળા વસ્ત્રો ધારણ કરેલી વ્યક્તિ પ્રકટ થઈ અને કહ્યું કે, એક વખત ધર્માદાના રૂપિયા આપુ છું, આશ્રમના રૂપિયા પછીથી આપીશ તેમ કહીને અદ્રશ્ય થઈ ગઈ હતી. વિધિ બાદ પૂજારીને વાડીના એક ભોંયરામાં લઈ ગયા હતા અને લાખો રૂપિયાની રકમ બતાવીને આવી જ રીતે તમારા ઘરે વિધિ કરવાથી પૈસાનો ઢગલો થઈ જશે તેમ કહીને પુજારીને વિશ્વાસમાં લીધો હતો.
જેથી પુજારીના ઘરે વિધિ કરવા માટે કારમાં મુસાબાપુ, અલ્તાફ, હરકિશન સાથે રાજકોટ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં સાદા કપડા પહેરેલા નકલી પોલીસે કારને અટકાવીને વાહન ચેકિંગ કર્યું હતું. ત્યારે કારમાંથી 3 લાખ રોકડા અને ખોપળી મળી આવી હતી. મુસાબાપુને પોલીસે ઝડપીને પુજારીને ત્યાંથી ભગાડી મુક્યો હતો. થોડા દિવસ બાદ પુજારીએ મુસાબાપુને ફોન કરતાં માંડ પોલીસમાંથી બહાર નીકળ્યા છે અને હવે માતાજી નારાજ થઈ ગયા છે. જેથી વીધી થશે નહીં તેમ જણાવ્યું હતું.
આખરે પુજારીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સમગ્ર મામલે પોલીસમાં લેખિત અરજી કરી હતી. જેની તપાસ પોલીસે કરતાં ગીર સોમનાથ LCB પોલીસે તાંત્રિક ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. આ ટોળકીએ અનેક લોકો પાસેથી 93 લાખ રોકડા, 66 તોલા સોનાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આ ટોળકીના 10 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે ચાર ફરારને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીમાં વિધિ કરનારા તાંત્રિક, નકલી પોલીસ કર્મી અને નકલી પત્રકાર પણ સામેલ છે.








