નવજીવન ન્યૂઝ. સુરત: લગ્નના સાત ફેરામાં સાત જન્મો સુધી જોડે રહેવા માટેના વચન લેવામાં આવતા હોય છે, પરંતું સુરતમાં એક દાંપત્ય જીવનને કલંક લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિએ ઉછીના લીધેલા પૈસા પરત આપવા ન પડે તે માટે પત્નીનો સોદો કરી નાખ્યો હતો. પતિએ રૂપિયા 40 હજારના લેણદારને પોતાની જ પત્ની સોંપી દીધી હતી. જોકે આખરે પતિ અને વ્યાજખોરોના ત્રાસે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો: રાહુલ ગાંધીની માનહાનિ કેસમાં રાહતની આશા ધૂંધળી, હાઇકોર્ટે વચગાળાના જામીન આપવા કર્યો ઈનકાર
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ વ્યાજખોર પાસેથી લીધેલા નાણા પરત ન ચૂકવી શકતાં તેણે પોતાની જ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી હતી. વ્યાજખોરે વ્યાજે આપેલા રૂપિયા 40 હજારની માંગણી કરતાં પતિએ પોતાની પત્નીને લેણદારના હવાલે કરી દીધી હતી.
આ મામલે કતારગામ પોલીસ સ્ટેશન (Katargam Police Station) માં મહિલાએ ફરિયાદ દાખલ કરતાં નરાધમ પતિ અને વ્યાજખોર રમેશ શિંગાળાને પોલીસે દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવા ન પડે તે માટે પતિએ વ્યાજખોર ૨મેશ શિંગાળાને પત્નીનો સંપર્ક કરાવ્યો હતો. પત્નીને રમેશના હવાલે કરતા વર્ષ 2017થી 2020 સુધી મહિલાને પોતાની પાસેથી રાખીને દુષ્કર્મ આચર્યું હતું.
વધુ વાંચો: તમારી પુત્રવધૂમાં કુળદેવીનો પ્રકોપ છે! પાંખડી ધુતારા લાખો રૂપિયા ખંખેર્યા
પતિ પત્નીને રમેશ સાથે રહેવા માટે ધમકી આપતો હતો. જેથી વર્ષ 2020માં મહિલા આખરે કંટાળીને પતિથી છૂટી થઈ ગઈ હતી. પતિથી છૂટા થયાના ત્રણ વર્ષ બાદ મહિલાએ પતિ અને વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પતિ અને વ્યાજખોર સામે IPC ૩૭૬, ૩૭૬ (૨)(એન), ૩૨૩, ૪૯૮ (ક), ૫૦૬, ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે એસટીએસસી સેલનાં નાયબ પોલીસ કમિશ્નર એમ. ડી. ઉપાધ્યાય દ્વારા ગઈકાલે રમેશ ઉર્ફે છગન કરમશી શિંગાળાની ધરપકડ કરવામાં આવી હતી.








