નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) માં ત્રણ પુત્રો દ્વારા પિતાના મૃત્યુ બાદ પિતાને અમર રાખવા માટે એવો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે. શહેરના વટવામાં રહેતા ગંગારામ નામના વ્યક્તિનું અકસ્માત થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે ગંગારામના ત્રણ દિકરા દ્વારા ગંગારામના શરીરના ભાગોનું દાન કરવાનો વિચાર કરતાં તેમની બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું, જેનાથી ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં 5 મેના દિવસે વટવામાં રહેતા 69 વર્ષીય ગંગારામ કુશવાહનો અકસ્માત થતાં તેમને સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં ચાર દિવસની સારવાર દરમિયાન તબીબે ગંગારામને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ગંગારામ બ્રેઈનડેડ થતાં સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન અંગે સમજણ આપવામાં આવી હતી.

ગંગારામના ત્રણે પુત્રોએ અંગદાનનું મહત્વ સમજીને ઘડીનો પણ વિલંબ કર્યા વિના ગણતરીની મીનિટમાં પોતાના પિતાના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. બ્રેઈનડેડ ગંગારામના લીવર અને બે કિડનીના દાન દ્વારા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું હતું.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલા 105માં અંગદાનના અંગે જણાવ્યું કે, વર્તમાન સમયમાં પિતાના મૃત્યુ બાદ તેમની મિલકત માટે ઝઘડતા બાળકોને તો અમે જોયા છે, પરંતુ આજે પિતાના અંગદાનથી તેઓને અમર બનાવવા ત્રણેય પુત્રોએ ભેગા થઈને જે અંગદાનનો હૃદયસ્પર્શી અને જનહિતલક્ષી નિર્ણય કર્યો છે તે ખરેખર ભારતીય સંસ્કૃતિ અને તેના સંસ્કારોનું પ્રતિબીંબ છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં થયેલા ૧૦૫ અંગદાનમાં મળેલા ૩૪૧ અંગોએ ૩૧૬ જેટલા જરુરિયાતમંદોને નવજીવન આપ્યું છે.








