નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આજે 8 માર્ચ, એટલે વિશ્વ મહિલા દિવસ. (International Women’s Day) આજે મહિલા દિવસે એક એવા મહિલા IPS અધિકારીની (Female IPS Officer) વાત કરવી છે જેમની પોસ્ટિંગને લઈને આજે સવાલ ઉઠી રહ્યા છે. પૂર્વ IPS અધિકારી રમેશ સવાણીએ (Former IPS Ramesh Savani) આજે વિશ્વ મહિલા દિવસને અનુલક્ષીને પોતાના સોશિયલ મિડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે મહિલા IPS સુધા પાંડેનું (IPS Sudha Pandey) ઉત્તમ કાર્ય અને તેમના પોસ્ટિંગ (Posting) મામલે સરકારના વલણ વિશે વાત કરી છે.

IPS સુધા પાંડે GPSCની ભરતી દ્વારા 2005માં DySP તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. 2017માં તેમને IPS તરીકેનું નોમિનેશન મળ્યું હતું અને હાલ તેઓ રાજકોટમાં SRP કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. પણ આજે અચાનક કેમ IPS સુધા પાંડેની વાત કરવામાં આવી રહી છે? ગુજરાતનાં જાણીતા અખબાર ‘દિવ્ય ભાસ્કર’માં આજે મહિલા દિવસને લઈને એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, ત્યાર બાદ આ અહેવાલને અનુલક્ષીને પૂર્વ IPS રમેશ સવાણીએ IPS સુધા પાંડેની વાત લખી અને કેટલાક સવાલો પણ ઊભા કર્યા છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, IPS સુધા પાંડેએ વેરાન જમીનને વન બનાવી દીધું ! સુધા પાંડેએ, કચ્છ-ભચાઉ SRP કેમ્પસની પથ્થરાળ અને રેતાળ જમીનમાં 100થી વધુ પ્રજાપતિના 40,000 વૃક્ષો ઉછેરી વેરાન જગ્યાએ વન ઊભું કરી દીધું. તેઓ SRP ગૃપ-2, અમદાવાદ ખાતે હતા ત્યારે મિયાવાકી જંગલોનું નિર્માણ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. કચ્છમાં પાણીની ખેંચ હતી એટલે કેમ્પસમાં વરરાતા પાણી-સુખદ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કર્યો. કેમ્પસના કિચન વેસ્ટ અને અન્ય જૈવિક કચરાથી ખાતર તૈયાર કરાવ્યું. રોપાની ડીમાન્ડ હોવાથી કેમ્પસમાં જ નર્સરી ઊભી કરી. વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવ બનાવ્યું. અસંખ્ય પક્ષીઓ/પતંગિયા/મધમાખીઓ/સસલાં જેવા પ્રાણીઓને ઘર મળ્યું
રમેશ સવાણીએ લખ્યું છે કે, ચોંકાવનારી બાબત એ છે કે 2005થી 2023 સુધીમાં માત્ર 14 મહિના માટે IPS સુધા પાંડેને માંગરોળ વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે એક્ઝીક્યુટિવ પોસ્ટિંગ મળ્યું હતું. બાકીના વર્ષોમાં તેમને કરાઈ પોલીસ એકેડેમી અને SRPમાં જ પોસ્ટિંગ આપવામાં આવ્યું ! તેઓ 2011થી હાલ સુધી એટલે કે 12 વરસથી SRPમાં જ છે ! પોલીસ ડીપાર્ટમેન્ટમાં એક વણલખ્યો નિયમ છે કે સરકાર જેમને સાઈડ પોસ્ટિંગ આપે તેની સાથે ઉપરી પોલીસ અધિકારીઓ ‘અછૂત’ જેવો વ્યવહાર કરે છે; કેટલાંક કિસ્સાઓમાં ઉચ્ચ અધિકારીઓ સરકારને વહાલા થવા સાઈડમાં મુકાયેલા અધિકારીઓ વિરુદ્ધ કાન ભંભેરણી કરતા હોય છે; અને દૂધમાંથી પોરા કાઢી રીપોર્ટ કરતા હોય છે !
આ સાથે જ પૂર્વ IPS રમેશ સવાણીએ કેટલાક સવાલો પણ કર્યા છે, જે આ મુજબ છે.
1.) નિષ્ઠાવાન IPS અધિકારી સુધા પાંડેની પર્યાવરણ પ્રત્યેના લગાવની નોંધ ગૃહવિભાગે/સરકારે લીધી છે ખરી?
2.) SRP જવાનોને રચનાત્મક કામમાં જોતરી તેમને વ્યસનોથી દૂર રાખ્યા; અને તેઓને પર્યાવરણ અભિમુખ બનાવ્યા, તેની નોંધ સરકારે લીધી છે?
3.) જો નોંધ લીધી હોય તો તેમને SRPમાં સતત પનિશમેન્ટ પોસ્ટિંગ કેમ? શું તેઓ સેક્યુલર દ્રષ્ટિકોણ ધરાવે છે એટલે? શું તેઓ પ્રામાણિક છે એટલે? શું તેઓ ખોટા કામ કરવાનો ઈન્કાર કરે છે એટલે? શું તેઓ બંધારણને વફાદાર રહી ફરજ બજાવે છે એટલે સરકાર દાઝ કાઢે છે?
4.) સુધા પાંડેને જ્યાં પણ સાઈડ પોસ્ટિંગ આપ્યું ત્યાં નિષ્ઠા/પ્રામાણિક્તા/જીવ નિચોવીને ફરજ બજાવી; તે રાજ્યના પોલીસ વડાને/ સરકારને દેખાતું નહીં હોય?
5.) શું ગુજરાતના ગૃહમંત્રી/ મુખ્યમંત્રી, પોતાના એક મહિલા IPS અધિકારીને સતત અન્યાય કેમ થઈ રહ્યો છે; તે અંગે વિચારશે ખરા? શું રાજ્યના પોલીસ વડાની ફરજ નથી કે આ બાબતે સરકારને અવગત કરાવે? વેરાન જમીનને વનમાં પલટી નાખનાર મહિલા IPSની કેરિયર, સરકાર શા માટે વેરાન કરે છે?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








