નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોદરેજ ગાર્ડન સિટીમાં એક ફ્લેટમાં આગની ઘટના સામે આવી હતી. આ ઘટના પાછળ ઘર કંકાસ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. કારણ કે ફ્લેટના માલિક પતિ-પત્ની આ સમયે ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી તીક્ષ્ણ હથિયારથી ઈજાગ્રસ્ત થયા હોય તે હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વણઝારાએ હાલ ઈજાગ્રસ્ત અનિલ બઘેલનું નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટીના વી બ્લોકમાં આજે સવારે ચોથા માળે આવેલા વી-405 નંબરના ફ્લેટમાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે-ગોટા ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. મળતી વિગતો મુજબ અનિલ બઘેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરમાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો શરૂ થતા ઉગ્ર બોલાચાલી બાદ વાત હિંસા સુધી પહોંચી હતી અને બંનેએ એકબીજા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં દંપત્તી ઘાયલ થયું હતું અને બાદમાં ઘરમાં આગ લાગી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચતા ફાયર વિભાગની ટીમને પતિ-પત્ની ઘાયલ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવ્યા હતા. જેના કારણે આ ઘટના પર અનેક ચર્ચાઓ અને સવાલો પેદા થવા લાગ્યા છે. પોલીસ પણ હાલ તપાસ કરી મામલો સમજવા પ્રયાસ કરી રહી હોય કોઈ સત્તાવાર કારણ મળી શક્યું નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








