નવજીવન ન્યૂઝ. દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) ધાર્મિક પ્રવાસન સ્થળ હોવાના કારણે અહીં સતત મુસાફરોનો ઘસારો રહેતો હોય છે. ઉપરાંત બેટ દ્વારકા જવા માટે ઓખાથી દરિયાઈ માર્ગે બોટમાં બેસી લોકો જતા હોય છે. જોકે ગઈકાલે બેટ દ્વારકાથી પરત ફરી રહેલી બોટ દરિયામાં ફસાઈ જતાં લોકોના શ્વાસ અધર થઈ ગયા હતા. જોકે આખરે મરીન પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન કરતા મુસાફરોના જીવ હેઠા બેઠા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે મોડી સાંજે બેટ દ્વારકાથી ઓખા યાત્રિકોને લઈને જઈ રહેલી ફેરી બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી. દરિયામાં ઓટના કારણે દરિયા કિનારા વિસ્તારમાં પાણીનું સ્તર ઓછું થઈ જતાં બોટ રેતીમાં ફસાઈ ગઇ હતી. જેના લીધે બોટમાં સવાર મુસાફરોના જીવ અધર થઈ ગયા હતા. છેલ્લા ફેરાની બોટ હોવાના કારણે પાછળ આવતી પોલીસ પેટ્રોલિંગ બોટ પાસે લોકોએ મદદ માંગી હતી.

પેટ્રોલિંગની બોટમાં હાજર DySP સમીર સારડા અને PSI દેવ વાંઝાએ યાત્રાળુ માટે ઓખાથી અન્ય બોટને મદદ માટે બોલાવી હતી. પોલીસે અડધા યાત્રાળુઓને અન્ય બોટ પર સ્થળાંતર કર્યા હતા. દરિયામાં ફસાયેલી બોટમાં પેસેન્જર ઓછા થતાં પોલીસે બોટથી ધક્કો મારીને ફસાઈ ગયેલી ફેરી બોટને પાણીમાં ફરી તરતી કરી હતી. પોલીસે તમામ યાત્રાળુઓને સહી સલામત રીતે ઓખાના દરિયા કિનારે પહોંડયા હતા. પોલીસ બોટમાં હાજર અધિકારીઓ સાથે બોટના પાઈલટ, કમાન્ડો દેવશી મુંધવા અને હેડ કોન્સટેબલ હરદાસભાઈએ આમ રેસક્યુ ઓપરેશન કરીને દરિયામાં ફસાયેલા લોકોને મદદમાં આવ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








