પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. વડોદરા): ગુજરાતમાં વિધાનસભાના મતદાનના એક દિવસ પહેલા વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ATS દ્રારા વડોદરામાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત ATSના DIG દીપેન ભદ્રનને માહિતી મળી હતી કે, વડોદરામાં એમડી ડ્રગ્સને ફેક્ટરી ધમધમી રહી છે. માહિતીના આધારે વડોદરા SOGને સાથે રાખીને ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો છે.
વડોદરામાં ડ્રગ્સની ફેક્ટરી અંગેની જાણકારી મળતા ગુજરાત ATSના DIG દીપેન ભદ્રન, SP સુનીલ જોષી અને DySP એસ.એલ.ચૌધરી સહિત અધિકારીઓની 5 ટીમે વડોદરાના સિંધરોટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. સિંધરોટમાં નદીના સીમમાં ધમધમી રહેલી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ હતી. જ્યાં MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ATSને મળી આવેલા ડ્રગ્સની ખરાઈ કરવા માટે FSLની ટીમની મદદ લેવામાં આવી હતી. ATSએ દરોડા દરમિયાન ફેક્ટરીમાં રહેલા લોકોની અટકાયત કરવામાં આવી છે.
સિંધરોટમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરી પર ગઈકાલ રાત્રે ATS દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું હોવાની જાણકારી મળી રહી છે. સર્ચ ઓપરેશન દરમિયાન ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવાનું રો મટીરીલ પણ મળી આવ્યું હતું. સિંધરોટની ડ્રગ્સ ફેક્ટરી પર ગુજરાત ATS સર્ચ કરી રહી હતી આ દરમિયાન વડોદરામાં અન્ય એક જગ્યાએ પણ એક ફેક્ટરી હોવાની જાણકારી મળી હતી.
ગુજરાત ATSએ વડોદરા શહેરમાં ચાલી રહેલી MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો કરવા વડોદરાના SP રોહન આનંદની મદદ લેવામાં આવી હતી. વડોદરામાંથી ગુજરાત ATSએ કુલ 500 કરોડનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત ATS દ્વારા વડોદરાના સાવલી વિસ્તારના મોક્ષી ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી.જેમાં 200 કિલોથી વધારે ડ્રગ્સ ઝડપાયુ હતું. ત્રણ મહિનાની અંદર ગુજરાત ATSએ ડ્રગ્સની બીજી ફેક્ટરી ઝડપી પાડી છે. વડોદરા ડ્રગ્સ ઉત્પાદનનું હબ બની રહ્યું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. સિંધરોટ અને સાવલીની ફેક્ટરીનું કોઈ કનેક્શન છે કે નહીં તે ATSની તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








