નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતીઓને વિદેશ જવાની ગેલછાનો ફાયદો ઉઠાવવા છેતરપિંડી કરતી ગેંગ છેલ્લા કેટલાક સમયથી સક્રીય બની છે. વિદેશ જવાના જરૂરી નકલી દસ્તાવેજ, વિઝા બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના અગાઉ અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા કેનેડાના નકલી વિઝા બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં વિઠ્ઠલ પ્લાઝામાં કોમ્પલેકક્ષમાં એરવે હોલીડે નામની ઓફિસ રાખીને કેનેડાના નકલી વિઝા બનાવી ટોળકી લોકોને છેતરતી હોવાની જાણકારી ગુજરાત એટીએસને મળી હતી. માહિતી આધારે એટીએસની ટીમએ રેડ કરતાં નિલેશ પંડ્યાનામનો એજન્ટ તેના સાગરીતો સાથે ફોરેન જવા માટેના નકલી વિઝા બનાવી આપતો હોવાનું સામે આવ્યું હતું. રેડ દરમિયાન પોલીસને 4 વ્યક્તિ ઓફિસમાંથી મળી આવ્યા હતા.
પોલીસે ઓફિસની તપાસ કરતાં પાંચ કેનેડાના વિઝા મળી આવ્યા હતા. જેની ખરાઈ કરતાં પાંચે વિઝાની એપ્લીકેશન રદ્દ થઈ ગયા હતા. તેમ છતાં નિલેશ પંડ્યા અને તેના સાગરીતો દ્વારા ક્લાઈન્ટને કેનેડાના વિઝા એપ્રુવલ થયા હોવાનો ઈમેલ મોકલી આપતો હતો. ઉપરાંત કેનેડાના વિઝાના બનાવટી સ્ટીકર બનાવી પાસપોર્ટમાં ચોંટાડી દેતા હતા. આ કામ એટલું જીણવટથી કરતાં હતાં કે પ્રથમ દ્રષ્ટીએ જોનારને છેતરપિંડીનો અહેસાસ પણ ન થાય. એટીએસની ટીમે સમગ્ર કેસમાં નીલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ, પીયુષ પટેલને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી પૈકી નીલેશ અને પિયુષ સામે અગાઉ પણ નકલી વિઝાના ગુના જેલની સજા ભોગવી ચૂક્યા છે.








