નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના મહિના દૂર છે, ત્યારે અમદાવાદમાં રાહુલ ગાંધીની જાહેર સભા બાદ ગુજરાત કોંગ્રેસ પણ હવે મેદાને ઉતરી ગઈ છે. આજે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીએ અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને ચૌધરી મેદાનથી લઈને કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ડ્રગ્સ, બેરોજગારી અને મોંઘવારીએ જેવા મુદ્દે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ પરિવર્તન રેલીમાં લલિત વસોયા, ચિરાગ કાલરીયા અને હર્ષદ રિબડીયા સહિતના ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી જેના ઉપર સૌનું ધ્યાન ગયું હતું. જ્યારે રેલીમાં ધારાસભ્ય લલિત કગથરા, પિરજાદાનાં સમર્થકો, નૌશાદ સોલંકી, ઋત્વિજ મકવાણા સહિતના ધારાસભ્યો અને તેમના સમર્થકો હાજર રહ્યા હતા. આ દરમિયાન લલિત વસોયાની ગેરહાજરી અંગે લલિત કગથરાએ નબળો બચાવ કરતા જણાવ્યું હતું કે, ‘લલિત કગથરામાં જ તમને લલિત વસોયા દેખાશે.’
લલિત કગથરાએ રેલી દરમિયાન જણાવ્યું હતું કે, “કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો અને લોકો તેમાં મોટી સંખ્યામાં જોડાયા છે. આગામી બે દિવસીય વિધાનસભા સત્રમાં પણ કોંગ્રેસ મોંઘવારીનો મુદ્દો ઉઠાવશે.” જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, “બે દિવસીય વિધાનસભા સત્રમાં સત્તાના જોરે સંવિધાનથી ઉપર ઉઠી પ્રશ્નતરી જ રદ્દ કરી દેવામાં આવી છે. છતાં ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કેટલું પકડયું તે મુદ્દો વિધાનસભામાં ઉઠાવી સરકારને ઘેરવામાં આવશે.”








