તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત પર સ્થાનિક અખબારમાં ગંભીર આક્ષેપો બાદ શરૂ થયેલો વિવાદ વકરતો જણાય છે. આજરોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 નંબર 93ના આચાર્યએ રાજકીય અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવે તેવા કથિત ખુલાસા મીડિયા સમક્ષ કર્યા છે.
આચાર્યના કથિત આક્ષેપો ચોંકાવનારા
આજરોજ શાળા નંબર 93ના આચાર્ય વનિતાબેન રાઠોડે સર્વ ફાઉન્ડેશના ટ્રસ્ટી અને નામાંકિત આર્કિટેક્ટ ચૈતન્ય સિંહારે શારિરીક રીતે સ્પર્શ કરી બદલી કરાવી દેવાની ધમકી આપ્યાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘શાળા નંબર 93 ગત જાન્યુઆરીથી સર્વ ફાઉન્ડેશનને દત્તક આપવામાં આવી છે. આ ફાઉન્ડેશને શાળામાં વિકાસના બદલે તોડ ફોડ કરી નાખી છે, નવો રંગ રંગાવી શાળામાં રંગ બદલાવવામાં આવ્યો હતો. આ તમામ બાબતો અમારા નિતી નિયમ વિરૂધ્ધ છે.’ “સરકારી શાળા ખુબ સારી રીતે સંચાલીત થતી હતી છતાં આ શાળા આ માટે દત્તક દેવામાં આવી.”
સિંહારનું શું કહેવું છે?
આ મામલે ચૈતન્ય સિંહાર સાથે ટેલિફોનીક વાત કરતા તેઓ જણાવે છે કે, તમામ આક્ષેપો બે બુનિયાદ છે, મારા અને વનિતાબેન વચ્ચે કુલ 3 વખત મુલાકાત થઈ તે પણ જાહેરમાં લોકોની હાજરીમાં થઈ છે. અમારા ફાઉન્ડેશનના 6 ટ્રસ્ટી સભ્યો દ્વારા શાળાને દત્તક લઈ શિક્ષણમાં યોગદાન આપવાનો ઈરાદો હોય અમે આ સદકાર્ય શરૂ કર્યું હતું. અમારા ફાઉન્ડેશને નવા બાંધકામ અને રંગરોગાન માટે પણ શરૂઆત કરી છે જેમાં ખર્ચ ફાઉન્ડેશને ઉઠાવવાનો છે. ટારગેટ કરીને પહેલા નગરશિક્ષણ સમિતિના અતુલભાઈને પરેશાન કરવામાં આવ્યા છે અને હવે તે મને પરેશાન કરવા સુધી પહોંચ્યા છે. ખરેખર આ વાતમાં કોઈ પણ પ્રકારની સત્યતા નથી કે અમે તોડફોડ કરી અમો દ્વારા શાળામાં રિનોવેશન અને નવા બાંધકામની શરૂઆત કરાઈ છે.
પ્રોગ્રામ કરવામાં આવે છે
વનિતાબેને સર્વ ફાઉન્ડેશન અને ચૈતન્ય સિંહાર પર આક્ષેપ કર્યો હતો કે, ‘ફાઉન્ડેશન શાળામાં બલ્ડ ડોનેશનના નામે કાર્યક્રમો કરી ફોટા પડાવે છે અને, કેટરીંગ બોલાવી જમણવારના પ્રોગ્રામ પણ કરે છે બાદમાં શાળાના શિક્ષકોને અને ક્યારેક મારે પણ તેમણે ફેલાવેલી ગંદકી ઉઠાવવી પડે છે.’
પ્રોગ્રામમાં 200 બોટલ બ્લડ દાન થાય છે
કાર્યક્રમ અને જમણવારના પ્રોગ્રામ બાબતે ચૈતન્ય સિંહાર જણાવે છે કે, ‘અમો દ્વારા કુલ 3 બલ્ડ ડોનેશનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જેમાં દરેક વખતે 200 કરતા વધારે બોટલ લોહીનું દાન થયું છે. આ વાતો માત્ર અમને પરેશાન કરવા માટે છે જેમાં કોઈ સાતત્ય નથી.’
શું કહે છે નાયબ પ્રાથમિક શિક્ષણ શાસનાધિકારી?
શહેરમાં રાજકોટ નગરશિક્ષણ સમિતિ સંચાલીત 18 શાળાઓમાં શિક્ષકોના ગણવેશ અને શાળા દત્તક દેવાની જરૂરીયાત નહીં હોવા છતાં આપવા આવી તે મામલે પણ ઘાલમેલની ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે નાયબ પ્રાથમિક શિક્ષણ શાસનાધિકારી કિરીટસિંહ પરમાર સાથે ચર્ચા કરતા તેઓ જણાવે છે કે, ‘શાળાના આચાર્યની મંજૂરી વગર કંઈ પણ ન થઈ શકે અને વાત રહી ગણવેશની તો સ્કૂલ ઑફ એક્સેલન્સમાં પસંદગી પામેલી 18 શાળાઓના શિક્ષકોના ગણવેશની રકમ ફાળવાઈ હતી. જે શાળાના ગણવેશ માટે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્યોની સહમતીથી ઠરાવ બાદ નિર્ણય લેવાયો છે, બાદમાં શાળાના આચાર્ય પણની પણ મંજૂરી લેવામાં આવી છે.’
કોઈ ન્યાયીક પ્રક્રિયામાં ન જાય તો લોકો શું વિચારશે?
સર્વ ફાઉન્ડેશનના ચૈતન્ય સિંહારે આ મામલે ખરેખર પત્રકારો અને મીડિયા હાઉસે અંગત રસ લઈ તપાસ કરી સત્ય સામે લાવવું જોઈએ તેવી પણ અપીલ કરી હતી. આ મામલો હવે હાઈપ્રોફાઈલ કેટેગરીમાં આવી જતો જણાય છે. ત્યારે આ મામલાની ખરેખર તપાસ કરી આ તમામ આક્ષેપબાજીઓની સાતત્યતા માટે કોઈ એક પક્ષે ન્યાયીક પ્રક્રિયા કરવા માટે પહેલ કરવી જોઈએ, જો આ મામલે ન્યાયીક પ્રક્રિયા વિના જ મીડિયામાં નિવેદનબાજી થતી રહે તો બંને પક્ષેથી ભેદી ચાલ સિવાય કંઈ નથી તેવું લોકોનું માનવું છે.








