નવજીવન ન્યૂઝ. પોરબંદર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે નજીક આવી રહી છે, દરેક રાજકીય પક્ષો પોતાના પક્ષને મજબૂત કરી રહ્યા છે, અલગ અલગ સ્થળોએ જાહેરસભાઓ યોજીને જનસંપર્કનું આયોજન કરી રહ્યા છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દિલ્હીના નેતાઓ ગુજરાતનાં પ્રવાસ કરી રહ્યા છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી હોય કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત ગુજરાતનાં અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વખત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતનાં પોરબંદર ખાતે આવી પહોંચ્યા છે.
આજે અરવિંદ કેજરીવાલ પોરબંદર આવીને એરપોર્ટ આગળ જ પત્રકારો સાથે સંવાદ કર્યો હતો, જેમાં તેમણે આવતાની સાથે જ ભાજપ અને ગુજરાત સરકાર ઉપર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ગુજરાતમાં શિક્ષણ, રોજગાર અને દારૂ જેવા મુદ્દાઓ સાથે ગુજરાતમાં ચૂંટણી લડવાની પોતાની રણનીતિ અંગે પત્રકારો સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેમણે ત્યાંથી સોમનાથ જવા નીકળ્યા હતા જ્યાં તેમણે એક જાહેરસભાને સંબોધન કરશે.
મીડિયા સાથે વાત કરતાં CM અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, “આજે હું ફરી ગુજરાત આવ્યો છું જેમાં સોમનાથમાં એક જાહેરસભાનું સંબોધન કરવાનો છું. આની પહેલા મેં ગુજરાતની જનતાને ફ્રી વીજળીની ગેરેન્ટી આપી હતી જ્યારે હવે આજે બીજી એક ગેરેન્ટીની જાહેરાત કરવાનો છું. પહેલા વીજળીની ગેરેન્ટી આપી હતી અને હવે રોજગાર મુદ્દે ગુજરાતનાં યુવાનોને ગેરેન્ટી આપીશું. ભાજપની સરકાર છે તો ઝેરી દારૂ મળ્યો, અમને વોટ આપીને જિતાડશો તો રોજગાર મળશે. હવે આ જનતાએ નક્કી કરવાનું છે કે તેમને ઝેરી દારૂ જોઈએ છે કે રોજગાર?”








