નવજીવન ન્યૂઝ.સુરતઃ આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી, અમૂલ્ય જીવનમાં જ્યારે પણ મુશ્કેલ સમય આવે છે ત્યારે સમય એક એવો ઈલાજ છે જે થોડા વખત પછી બધું જ સરળ બનાવી દે છે. જોકે આવી ધીરજ ન રાખી શકનારા અંતિમ પગલું ભરી પોતાના સ્વજનોને પણ પીડા આપતા હોય છે. આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે જ્યાં પ્રેમીએ ફાંસો ખાઈ લીધો અને પછી તેના વિરહમાં પ્રેમિકાએ પણ મોતની છલાંગ લગાવી હોસ્પિટલમાંથી કુદી ગઈ હતી.
સુરત સિવિલ હોસ્પિટલમાં આ ઘટના બની છે. જ્યાં ડોક્ટરે ફાંસો ખાઈ લીધા પછી સારવાર માટે આવેલા એક યુવકને મૃત જાહેર કર્યો તો પછી પ્રેમીકાએ હોસ્પિટલના પાંચમા માળેથી કુદી આપઘાત કરી લીધો છે. તે પ્રેમીકા પરણિત હતી અને તેના બે બાળકો પણ હતા. પગલું ભરતા પહેલા બે બાળકોના ભાવી અંગે પણ તેણે વિચાર સુદ્ધા કર્યો ન્હોતો.
ખોડિયારનગર સોસાયટી ખાતે રહેતા વિનોદેએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયો ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની સાથે એક મહિલા પણ હતી તેને પુછતા તે તેની પ્રેમિકા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવકની લાશ જ્યારે પોસ્ટ મોર્ટમ વિધિ માટે જવાની હતી ત્યારે તે મહિલાએ હોસ્પિટલમાં પાંચમા માળેથી છલાંગ લગાવી દીધી હતી. પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








