નવજીવન ન્યૂઝ.હિંમતનગરઃ રામનવમીના પર્વે શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા મામલે પોલીસે ધરપકડનો દૌર શરૂ કર્યો અને આ ઘટનામાં દસ આરોપીઓના કોર્ટ પાસેથી 3 દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ થયા હતા. રામનવમીની શોભાયાત્રા વખતે પત્થરમારો થયો હતો અને બે જુથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ ઘટનામાં નિર્દોષોના જીવ લેવાયા, ઘર સળગાવાયા હતા. આવી જ ઘટના ખંભાતમાં પણ બની હતી. બીજી તરફ પોલીસ પણ ઈજાગ્રસ્ત થઈ હતી.
ધર્મના નામે આવા ઘણા કાંડ ચૂંટણી નજીક આવે ત્યારે બનતા હોય રાજકીય અને સામાજિક માહોલ બગાડતા હોય છે. ધર્મના નામે લોકો વચ્ચે દ્વેશ ભાવના અને તિરાડ પાડવાના પ્રયાસો કેટલાક હીન પ્રજાતિના લોકો કરતાં હોય છે, દુનિયા વિજ્ઞાન, ઈકોનોમી, હેલ્થ સહિતના રસ્તાઓ પર નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે તેવા સંજોગોમાં આવા શખ્સો આવી હીન માનસિકતાથી હજુ પણ બહાર આવતા નથી. ગમે તેટલા સરકાર પ્રયત્નો કરે, ગમે તેટલા સામાજિક મેળાવડા કરે પરંતુ માનસિકતા રાજકીય નેતાઓએ લોકોના લોહીમાં જ જાણે એવી ભેરવી હોય કે તેમાં માનવતાના સ્વેતકણો ઉમેરાતા જ નથી. આવા જ કેટલાક હલકી માનસિકતા ધરાવતા શખ્સોએ રામનવમી દરિયાન આવા જ મનસુબાને કારણે આવું કર્યું જે નિર્દોષોનો ભોગવવું પડ્યું છે. લોકોને રીતસર હિજરત કરવી પડી છે. હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા હતા. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા હતા. વણજારાવાસમાં આગચંપીના બનાવો પણ બન્યા હતા.
ભયના ઓથાર નીચે જીવતા અહીંના લોકોને હવે પોલીસની હુંફ મળી રહે તે જરૂરી છે. કાયદા વ્યવસ્થાની જાળવણીને પગલે હિંસા ફેલાવનારા દસ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા અને તેમના કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. હિંમતનગરમાં આ મામલે મોડી રાત્રે ચીફ જ્યૂડિશિયલ કોર્ટમાં કુલ 22 આરોપીઓને પોલીસે રજૂ કર્યા હતા. કોર્ટે દસ આરોપીઓના રિમાન્ડ ત્રણ દિવસ માટે મંજુર કર્યા હતા. એ ડિવિઝનમાં દાખલ થયેલી ફરિયાદમાં 11 આરોપી રજુ કરાયા હતા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં 2 આરોપીઓને રજુ કરાયા છે. આગામી 16 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા. પોલીસે હિંમતનગરમાં 900થી વધુ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાયા છે. ડ્રોન દ્વારા શહેરના વિસ્તારોની પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે.








