વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના અતિ પ્રિય પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ કક્ષા સુધી પહોંચાડવા માટે કોઇ કસર બાકી રાખી નથી. દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કરોડોના ખર્ચે નવા નવા પ્રોજેક્ટ્સ આકાર પામી રહ્યા છે તો બીજી બાજુ કેવડિયા ગામની પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષકથી ગાડું ગબડાવાઈ રહ્યું છે. તો એમ જરૂર કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના હેતુથી વિકાસ તો કરાઈ રહ્યો છે, પણ શિક્ષણ ક્ષેત્રે એટલું ધ્યાન અપાઈ રહ્યું નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકની કેવડિયા ગામની પ્રાથમિક શાળામાં હાલ માત્ર એક જ શિક્ષકથી ગાડું ચાલે છે. શાળાનો મુખ્ય શિક્ષક જ બાળકોને ભણાવે પણ છે, શાળાના ફૂલ છોડને પાણી પણ પીવડાવે છે અને શાળાને લગતી અન્ય કામગીરી પણ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ જો કરોડોના ખર્ચે અવનવા પ્રોજેક્ટો હાથ ધરાતા હોય તો આદિવાસીઓના બાળકોને ભણવા માટે ઉચ્ચ કક્ષાની શાળાનું નિર્માણ થવું જરૂરી નથી? દેશ-વિદેશના પ્રવાસીઓને ભપકાદાર વિકાસ બતાવી સરકાર પોતાની વાહ વાહી કેમ લૂંટી રહી છે? કેમ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા કોઈ પ્રયાસો થતા નથી. સરકારે જો સાચો વિકાસ કરવો જ હોય તો બાળકોના અભ્યાસ માટેની સારી વ્યવસ્થા કરવી જોઈએ.
નર્મદા જિલ્લામાં તો એક શિક્ષકથી કામ ચલાવાઈ રહ્યુ હોય એવી 29 શાળાઓ છે. હવે આ 29 શાળાના શિક્ષકો જો જિલ્લા કક્ષાએ મિટિંગમાં આવે તો શાળા બાળકોના ભરોષે મૂકીને અથવા શાળા બંધ કરીને જ આવવું પડતું હશે, એવી મિટિંગો મહિનામાં 4-5 તો ખરી જ. તો એવા સમયે બાળકોનું શિક્ષણ બગડે એનો જવાબદાર કોણ? એમ પણ શિક્ષકોને સરકાર અન્ય કામગીરી પણ સોંપતિ હોય છે ત્યારે આ 29 શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય કેટલું ઉજળું? એ પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની કેટલીયે શાળાઓ તો એવી છે કે જેમાં બાળકોને ભણવા માટે પૂરતા ઓરડાઓ પણ નથી, ઘેંટા બકરાની જેમ એક જ ઓરડામાં બાળકોને ભણાવાય છે.
જ્યાં એક જ શિક્ષક છે એવી શાળાના ગ્રામજનો પોતાની વ્યથા ઠાલવી રહ્યાં છે કે અમારે સરકારના વાંકે ના છૂટકે અમારા બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલવા પડે છે. જો શિક્ષકોની ઘટ પુરાય તો અમે ગામમાં જ બાળકોને અભ્યાસ કરાવીએ. જેની પાસે નાણાકીય સગવડ હોય એને ખાનગી શાળામાં અભ્યાસ કરાવવો પોષાય જેની પાસે સગવડ ન હોય એનું શું? આવી શાળામાં મુખ્ય શિક્ષક જ બાળકને ભણાવે છે, ફૂલ છોડને પાણી પીવડાવે છે અને શાળાને લગતી અન્ય કામગીરી પણ કરે છે. એક શિક્ષક કરે તો કેટલું કરે એટલે શાળામાં શિક્ષકની સરકાર વહેલી તકે ઘટ પુરે એ જરૂરી બન્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











