નવજીવન ન્યૂઝ, વડોદરા : ઘણી વખત ક્ષણિક આવેશ જીંદગી જ આખી બદલી નાખે, જીંદગી ભરનો પસ્તાવો બની જાય છે. આવું જ કાંઈક વડોદરામાં બન્યું છે. વડોદરા શહેરમાં નજીવી બાબતે દંપતી વચ્ચે થયેલી તકરારમાં હત્યા કરી દેવામાં આવી છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલા કંકાસમાં પતિની ક્રૂરતાપૂર્વક હત્યા (Wife kills husband in Vadodara) કરી દેનારી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પણ અહીં એક બાબત એવી હતી કે, પતિને પહેલા તો ત્રિકમથી પત્નીએ પતાવી દીધો અને પછી જ્યારે તેનો જીવ ગયો ત્યારે પત્નીને ભાન થયું કે હવે તે આ દુનિયામાં નથી. પોતાની સાથે હવે તે નથી તેવી ખબર પડતા તે ચોંધાર આંસુએ રડી પડે છે. ત્યાં આક્રંદ કરે છે, પતિના મૃતદેહને કાલાવાલા કરે છે પણ હવે સમય પાછો જવાનો નહોતો.
વડોદરાના કુંભારવાડા ખારી તલાવડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે કંકાસ થયો હતો. પતિ અમિત અને તેમની પત્ની મંજુબહેન વચ્ચે નજીવી બાબતે તકરાર થતાં મામલો ઉગ્ર બની ગયો હતો. ઉશ્કેરાઈ ગયેલા મંજુબહેને ઘરમાં પડેલી ત્રિકમ ઉઠાવી પતિ અમિત પર હુમલો કરી દીધો હતો.
ત્રિકમના ઘા એટલા ઘાતક હતા કે અમિતે ઘટનાસ્થળે જ શ્વાસ છોડી દીધા હતા. બાદમાં આ મંજુ પોક મુકીને રડવા લાગે છે. આક્રંદ કરી મુકે છે. પણ હવે શું? જે થઈ ગયું એ પાછું થોડું ભુંસી શકાય. અહીં ભૂલ બાદ પસ્તાવા સીવાય કોઈ બીજો છૂટકો નહોતો અને પસ્તાવા છતા પણ પરિસ્થિતિ બદલાવાની નહોતી. ઘટનાની જાણ થતા જ કુંભારવાડા પોલીસ સ્ટેશન (Kumbharwada Police Station) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હત્યામાં વપરાયેલું હથિયાર અને પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (FSL) ની ટીમની મદદ લેવામાં આવી છે.








