- પતિ સાથે સવારે બાલ્કનીમાં બેઠા હતા, પતિ ઘરમાં ગયા અને પગલું ભર્યું
- લાંબા સમયથી ચાંદાની બિમારીથી પીડાતા હતા, સારવાર ચાલુ હતી
નવજીવન ન્યૂઝ, વડોદરા : શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ અસહ્ય પીડાથી કંટાળી પોતાના નિવાસસ્થાનની બાલ્કનીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ગોરવા વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-1માં 11મા માળે રહેતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા પોતાના પતિ અને સાસુ સાથે રહેતા હતા. સંગીતાબેન લાંબા સમયથી પેટ સંબંધિત ચાંદાની બિમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલુ હતી. છતાં સતત રહેતી પીડાને કારણે તેઓ માનસિક રીતે પરેશાન રહેતા હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સંગીતાબેન દરરોજની જેમ શનિવારે સવારે પણ પોતાના પતિ સાથે બાલ્કનીમાં બેઠા હતા. દરમિયાન તેમના પતિ ઘરના અંદર જતા રહ્યા હતા. આ વચ્ચે સંગીતાબેને 11મા માળેથી બાલ્કનીમાંથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટના બાદ પોલીસ દ્વારા મૃતદેહ કબજે કરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી પરિવારને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ બિમારીથી કંટાળી આ પગલું ભરાયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પરિવારજનોની પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.








