નવજીવન ન્યૂઝ.અમદાવાદ: નારણપુરામાં નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતગમતના ઉત્સાહીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. પરંતુ તેના પ્રચાર-પ્રસાર દરમિયાન વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવેલી એક ગંભીર ભૂલે ચર્ચાનો વિષય બનાવ્યો છે. આ પ્રચારમાં સુશીલ કુમાર, (Sushil Kumar) જેણે ભારત માટે ઓલિમ્પિકમાં (Olympics) બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ હાલ ખૂનના આરોપમાં તિહાર જેલમાં કેદ છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ નિર્ણય ઘણા સવાલો ઊભા કરે છે: શું 132 ફૂટ ઊંચા પુલના પિલર પર કુસ્તીને પ્રોત્સાહન આપવા માટે સુશીલ કુમારની પસંદગી ખરેખર યોગ્ય હતી? શું ભારત માટે મેડલ જીતનારા અન્ય પ્રતિભાશાળી કુસ્તીબાજોની (Wrestling) અવગણના કરવામાં આવી?
સુશીલ કુમારે એક સમયે ભારતનું નામ રોશન કર્યું હતું. 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012ના લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને તેણે કુસ્તીની દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું. પરંતુ હાલની પરિસ્થિતિમાં, જ્યારે તે ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યો છે, તેને પ્રચારનું કેન્દ્ર બનાવવું રમતગમતના ચાહકોને યોગ્ય લાગતું નથી. કુસ્તીના ચાહકોનું માનવું છે કે, આવા નિર્ણયથી યુવા પેઢીમાં ખોટો સંદેશ જઈ શકે છે, કે ગંભીર આરોપો હોવા છતાં કોઈ વ્યક્તિ હીરો તરીકે રજૂ થઈ શકે?
ભારતના કુસ્તી ઇતિહાસમાં અનેક એવા ખેલાડીઓ છે, જેમણે દેશ માટે ગૌરવ મેળવ્યું છે અને સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે, સુશીલ કુમાર એક માત્ર તો નથી. યોગેશ્વર દત્ત, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, અને રવિ કુમાર દહિયા જેવા ઘણા ખેલાડીઓએ ઓલિમ્પિક્સ સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીત્યા છે. આ ખેલાડીઓની સિદ્ધિઓ અને તેમની તસવીરો પ્રકાશિત કરીને યુવાનોને પ્રેરણા આપી શકાય તેમ હોવાનું મંતવ્ય ચાહકોનું છે. આવા રોલ મોડેલ્સ રમતગમતની ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરે છે.
જોકે અહીં લોકો સહિત ઘણાને પ્રશ્ન હતો કે આ ભૂલનું કારણ શું હોઈ શકે? કે પછી આ કોઈ ભૂલ નહીં પણ વિચાર-ચર્ચા બાદનો નિર્ણય છે? શક્ય છે કે વ્યવસ્થાપકોએ ઉતાવળમાં અથવા અપૂરતા સંશોધનને કારણે આ નિર્ણય લીધો હોય. સુશીલ કુમારનું નામ એક સમયે કુસ્તીનું પર્યાય હતું, પરંતુ તેની વર્તમાન સ્થિતિને અવગણવી એ ગંભીર ચૂક માની શકાય છે. પ્રચાર-પ્રસારમાં સંવેદનશીલતા અને જવાબદારીની જરૂર હોય છે, જેથી સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરે.
આ ઘટના એક મહત્ત્વનો પાઠ આપે છે. રમતગમતના પ્રચારમાં ખેલાડીઓની પસંદગી કરતી વખતે તેમની સિદ્ધિઓ જ નહીં પણ તેમના વ્યક્તિત્વ અને સમાજમાં તેમના થકી પડતી છબી સાથે વર્તમાન સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા પ્રોજેક્ટનો હેતુ યુવાનોને રમતગમત તરફ આકર્ષવાનો છે, અને આ માટે સકારાત્મક રોલ મોડેલની જરૂર સ્વાભાવિક છે. ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા માટે વ્યવસ્થાપકોએ વધુ સજાગતા અને વ્યાપક સંશોધન સાથે આગળ વધવું રહ્યું. આવા પગલાથી જ રમતગમતની ભાવના અને દેશનું ગૌરવ સાચા અર્થમાં ઉજાગર થશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








