નવજીવન ન્યૂઝ.સુરતઃ છેલ્લા ઘણા સમયથી રાજ્યના કાપડના વેપારીઓ કેટલાક એવા ઠગોથી પરેશાન છે જે ધંધામાં ઉધાર લઈ ઉઠામણું કરી નાખે છે. આવા શખ્સો માલ ઉધારી પર લઈને પછી પેમેન્ટ આપતા નથી અને પાછા અન્ય રાજ્યોમાંથી આવતા હોઈ તેમના સુધી પહોંચવું પણ ઘણું અઘરું બની જતું હોય છે. સુરતમાં તો આવા ઘણા વેપારીઓ ઠગાઈ ચુક્યા છે. આવી જ એક ઘટના મે મહિનામાં સુરતની ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં બની હતી. અહીં એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઈઝ નામથી ભાગીદારી પેઢી બનાવી અને વેપારીઓ પાસેથી કરોડોનો માલ ઉધારીમાં લીધી. પેઢીમાં 10 ભાગીદારોએ કુલ 21 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું હતું. માલના રૂપિયા ચુકવવાથી પછી હાથ ઊંચા કરી નાખ્યા અને દુકાનનું શટર બંધ કરી રફ્ફુચક્કર થઈ ગયા હતા. પોલીસે આ ઘટનામાં એકની ધરપકડ કરી લીધી છે.
સુરતમાં થયેલા આ સમગ્ર કૌભાંડનો અસલી સુત્રધાર અનસ મોટીયાણી હાલ દુબઈ ભાગી ગયો છે. જોકે તેના અન્ય ભાગીદારો પૈકીના અજીમ પેનવાલા, દિક્ષિત મિયાણી, જનક છાંટબાર, જીતેન્દ્ર માંગુકીયા, મહાવીર તાપડિયા અને જીતેન્દ્ર પુરોહિતની સુરત પોલીસે અગાઉ ધરપકડ કરી લીધી છે. જોકે આ કેસમાં રવિરાજસિંહ ગોહિલ નામનો વધુ એક શખ્સ ઝડપાયો છે. આ રવિરાજ પણ અનસ સાથે દુબઈ જતો રહ્યો હતો અને ત્યાં શાકભાજી વેચવાનું કામ કરતો હતો. જોકે તે ભારત આવી ગયો છે અને તેના લોકેશનની માહિતી મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
રવિરાજ દુબઈ તો જતો રહ્યો હતો પરંતુ તેના વિઝા પુરા થવાના હતા. જેના કારણે તેને ભારત આવવાનું થયું હતું. પરંતુ તેને ખબર ન હતી કે પોલીસ તેને અહીં ઝડપી લેશે. તે ભારત આવ્યા પછી રાજ્યના અલગ અલગ મંદિરોમાં રોકાતો હતો. જોકે જ્યારે તે પોતાના ગામ વાવના ખેતરમાં સંતાઈ ગયો હતો ત્યારે પોલીસને વિગત મળી કે તે અહીં છૂપાયો છે. પોલીસે ત્યાં પુરો સેટ ગોઠવી દીધો અને તેને ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.








