નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : 3,966 શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ આગામી 1 જૂનથી ઑનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત (Recruitment of teachers started in Gujarat) થનારી છે. લાંબા સમય બાદ ગુજરાતમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને આ વખતે દિવ્યાંગ ઉમેદવારોને પણ તક આપવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (Gujarat Primary Education Selection Committee) દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની ભરતી થનારી છે. 1 જૂનના રોજ બપોરે 12 કલાકથી ઑનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત થશે અને 10 જૂનના રોજ બપોરે 3 કલાક સુધી ચાલશે. અત્રે નોંધનીય છે કે, આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ના ગુણ અને સરકારના વર્તમાન ભરતી નિયમોના આધારે કરવામાં આવશે. ઑનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ જરૂરી તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ શૈક્ષણિક ગુણાંકના આધારે આખરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે.








