નવજીવન ન્યૂઝ.ગોંડલઃ રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા બે મહિલા યાત્રાળુઓના મોત થયા છે, જ્યારે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ગોંડલના વોરા કોટડા નજીક બગદાણાથી દર્શન કરીને પરત ફરી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અકસ્માતનો ભોગ બની હતી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત વહેલી સવારે અંદાજે 4:30 વાગ્યે સિંગલ પટ્ટી રોડ પર સર્જાયો હતો. સામે તરફથી આવી રહેલા ટ્રકને સાઇડ આપવા માટે ટ્રાવેલ્સ બસનો ડ્રાઇવર રિવર્સ લઈ રહ્યો હતો, ત્યારે બસનો કાબૂ ગુમાવતા બસ રસ્તા કિનારે આવેલા ખાડામાં ખાબકી ગઈ હતી.

અકસ્માત સમયે બસમાં બાળકો, મહિલાઓ સહિત કુલ 62 મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બસના કાચ તોડવાની ફરજ પડી હતી. ઈજાગ્રસ્ત થયેલા 20થી વધુ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 5 મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ તેમજ ગોંડલની ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.

રેસ્ક્યુ કામગીરી માટે 108 એમ્બ્યુલન્સ સેવા, નગરપાલિકાની ટીમ, શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનોની મદદ લેવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો, સામાજિક કાર્યકરો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ગંભીર અકસ્માતમાં બે મહિલા યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.








