નવજીવન ન્યૂઝ.નખત્રાણાઃ નખત્રાણા ખાતે તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠકમાં સર્વાનુમતે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયમાં સમાજે રાવણના પૂતળાના દહન કરી તહેવાર મનાવવાથી પોતે દુર રહેશે તેવું નક્કી કર્યું છે. જોકે તેનું કારણ ઘણું અચરજ પમાડનારું છે. તેમનું માનવું હતું કે દેવાધીદેવ મહાદેવનો ઉપાસક હતો રાવણ કે જે શક્તિશાળી હતો. તેને મળેલા શ્રાપને કારણે તેનું મૃત્યુ ભગવાન રામના હાથે લખ્યું હતું. જેના કારણે રાવણના પૂતળાનું દહન કરવું યોગ્ય નથી.
આ સમાજની બેઠકમાં તાલુકાના વિવિધ અગ્રણીઓ હાજર હતા. તેમની ઉપસ્થિતિમાં નક્કી કરાયું કે કોઈપણ બ્રાહ્મણ રાવણ દહનમાં ભાગ નહીં લે. આ દરમિયાન બેઠકમાં જણાવાયું કે, રાવણ તો એક મહાશક્તિશાળી વ્યક્તિ હતો. તે મહાદેવનો ઉપાસક હતો. તે અસુરી શક્તિઓ ધરાવતો હતો પણ તે જન્મે બ્રાહ્મણ હતો. તેને ભગવાન રામના હસ્તે મોત થશે તેવો શ્રાપ હતો.
જે શ્રાપને કારણે તેણે માતા સીતાજીનું હરણ કર્યું હતું. જેને કારણે હવે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દશેરાના તહેવારે રાવણ દહન નહીં કરવામાં આવે અને રાવણના પૂતળા દહનનો બહિષ્કાર કર્યો છે. આ બાબતે સર્વસહમતી જોવા મળી હતી. આ બેઠકમાં તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશ જોશી, ઉપ પ્રમુખ દિનેશ જોશી ઉપરાંત રાજેશ જોશી પણ હાજર રહ્યા હતા. સાથે જ પરશુરામ સેનાના અગ્રણી મિતેશ સોનપાર, કમલેશભાઈ, અનિલભાઈ, વિશાલ જોશી, ભાવીન રાજગોર, જયમીન નબોટી, ધર્મેશ જોશી સહીતના લોકો ઉપસ્થિત હતા.
બ્રહ્મસમાજ નખત્રાણાના પ્રમુખે કહ્યું કે, રાવણ જેવા જ્ઞાની અને વિદ્વાન બ્રાહ્મણના પૂતળાને વારંવાર અગ્ની આપી સળગાવાય તે અયોગ્ય છે. કચ્છમાં અન્ય જગ્યાએ અમે રાવણ દહનનો વિરોધ કરવા અનુરોધ પણ કરવાના છીએ. 35 વર્ષથી નખત્રાણાના વથાણ ચોકમાં રાવણના પૂતળાનું દહન કરી તહેવાર મનાવાય છે. જેમાં બીજા સમાજો, સંગઠનો સહયોગ આપે પણ અમે હવે બિલકુલ આપીશું નહીં. કંસ પાપી હતો તો તેના પૂતળાનું દહન કેમ નથી કરાતું અને માત્ર રાવણના જ પૂતળાનું દહન થાય છે?








