નવજીવન ન્યૂઝ.કચ્છઃ કચ્છના ખાસ વિસ્તાર તરીકે બન્ની વિસ્તાર જાણીતો છે. વર્ષોથી અહીંના લોકોની માગ થતી હતી જેને પગલે તેની આજે ફરી ચર્ચા તંત્ર દ્વારા હાથમાં લેવાઈ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા નિમાબેન આચાર્ય દ્વારા આ બન્ની વિસ્તારને ફોરેસ્ટ સેટલમેન્ટની કાર્યવાહી મામલે વન અને પર્યાવરણમંત્રી કિરીટસિંહ રાણા અને આ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.
કચ્છના ભુજ તાલુકામાં ઉત્તર તરફ આ બન્ની વિસ્તાર આવેલો છે. ભારત સરકાર દ્વારા આ વિસ્તારને રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જેની ફોરેસ્ટ સેટલમેન્ટની કામગીરી ઘણા સમયથી વનવિભાગમાં તો પડતર જ છે. આ વિસ્તાર સંરક્ષીત જંગલ તરીકે જાહેર થયો તે સમયે સેટલમેન્ટની કોના દ્વારા કાર્યવાહી કરવાની થાય છે તે નક્કી ન હતું. જેના કારણે વન અધિકાર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી બન્ની વિસ્તારના લોકોની માગ હતી.
ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ સેટલમેન્ટ માટેની કામગીરી જો સમયસર પુરી થઈ જાય તો બન્ની વિસ્તાર હેઠળ આવતા ગામોને રેવન્યુ દરજ્જો મળે અને અહીંના નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકે. આ મામલે તેમની માગને ધ્યાનમાં રાખી ડો. નિમાબેન આચાર્ય દ્વારા વનમંત્રી અને વન વિભાગના અધિકારીઓ તથા મહેસુલ વિભાગની સલાહને પણ જાણીને આ પડતર પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં ભુજના ઝુરા ગામ પાસેના કાયલા ડેમથી દુર હેઠાવાસ નજીક તટની સિંચાઈ યોજનાના સૂચિત બાંધકામ મામલે પણ વન વિભાગના ધારાધોરણોને ધ્યાને રાખી એનઓસી આપવા અને સિંચાઈ વિભાગના મંજુરી થયેલા કામોને સત્વરે વન વિભાગ પૂર્ણ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.








