નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્ય સરકારો સાથેની ચર્ચા દરમિયાન પેટ્રોલ ડીઝલના મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલ ડીઝલના ભાવને કારણે નાગરિકો પર બોજો વધી રહ્યો છે. છ મહિના મોડું તો મોડું, હવે રાજ્ય સરકારોએ પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઘટાડવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાજ્ય સરકારો જો ટેક્સ ઘટાડશે તો નાગરિકોને તેનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જતાં અન્ય ચીજ વસ્તુઓના ભાવોમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે, સામાન્ય જન માટે હાલમાં મોંઘવારી સામે જજૂમવું એકલા હાથે લડાતી લડત સમાન બની ગયું છે કારણ કે રાજ્ય સરકારો દ્વારા ટેક્સ ઘટે તેવી તેમને આશાઓ રહી હતી જોકે હાલમાં જ ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે ત્યારે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી પહેલા રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે તેઓ ટેક્સ ઘટાડે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાણે પલટવારના મુડમાં હોય તેમ જોવા મળ્યા હતા.
તેમણે કોરોના પર મુખ્યમંત્રીઓની મીટિંગનું કહ્યું હતું જોકે વડાપ્રધાને ન ફક્ત પેટ્રોલ ડીઝલના વધતા ભાવ મુદ્દા પર સરકારોના કાન આમળ્યા પણ આ મામલે ગુગલી બોલ પણ વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓના સ્ટંપ સુધી પહોંચાડી દીધી.
વડાપ્રધાન મોદીએ મોંધઘવારીની આગનું કારણ રુસ અને યુક્રેનનું યુદ્ધ બતાવ્યું પછી તેમણે કેન્દ્ર- રાજ્ય સરકારો વચ્ચે તાલમેલની વાત કરી અને વિપક્ષી મુખ્યમંત્રીઓને કહ્યું કે તે પણ જનતાને રાહત આપવા માટે પેટ્રોલ ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરે, જેવી રીતે કેન્દ્રએ નવેમ્બરના મહિનામાં જ એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી.
પીએમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જનતા પેટ્રોલ, ડીઝલ, પીએનજી, સીએનજી સહિત સતત જરૂરી વસ્તુઓના ભાવોમાં વધારો થતાં ત્રાહિમામ છે. તેને લઈને વિપક્ષે નરેન્દ્ર મોદીને ઘેરી લીધા છે કારણ કે હવે જ્યારે ખુદ પ્રધાનમંત્રીએ સીધા મુખ્યમંત્રીઓ સાથે વાતચિતમાં ફ્યૂલ પર વેટ ઘટાડવાની અપીલ કરી છે તો આ વિપક્ષના માટે પણ ગળાના હાડકા સમાન બન્યું છે.
મોદીએ વધુમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે લોકો પરનો બોજ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે નવેમ્બરમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારોને પણ વેટ ઘટાડવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક રાજ્યોએ કેન્દ્રની વાત માનીને લોકોને રાહત આપી હતી, પરંતુ કેટલાક રાજ્યોએ તેમ કર્યું નથી.








