નવજીવન ન્યૂઝ. મુંબઈઃ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે અચાનક જ પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામાંની જાહેરાત કરી દેતા મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંમપ મચી ગયો હતો. જોકે શરદ પવાર રાજીનામું ન આપે તે માટે મોટી સંખ્યામાં તેમના સર્થકો દ્વારા દેવાખ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે આજે શરદ પવારે રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
શરદ પવારે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, “હું મારો નિર્ણય પાછો ખેંચી રહ્યો છું. હું તમારી ભાવનાઓનું અપમાન ન કરી શકું. હું રાજીનામું પાછું ખેંચવાની તમારી માગનું સન્માન કરું છું. હું રાષ્ટ્રવાદી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો મારો નિર્ણય પાછો ખેંચું છું.” શરદ પવાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી તે સમયે અજીત પવાર હાજર ન હતા. આ અંગેનો પ્રશ્ન જ્યારે શરદ પવારને કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, બાકી બધા અહીં છે. સમિતિએ આ નિર્ણય લીધો અને તેમના નિર્ણય બાદ મેં મારો નિર્ણય પાછો લીધો છે. અમે બધા એકજૂટ છીએ. સમિતિમાં વરિષ્ઠ નેતાઓ છે અને આ અંગે ચર્ચા કર્યા બાદ મે આ નિર્ણય કાર્યો છે.
અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ મુંબઈમાં પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સુપ્રિયા સુલે, અજિત પવાર સહિત અનેક દિગ્ગજ નેતાઓએ હાજર રહ્યા હતા. આ દરમિયાન શરદ પવારના રાજીનામાને ફગાવી દેવામાં આવ્યું હતું. એનસીપીની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખવાનો અનુરોધ કરતો ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ પક્ષના નેતા પ્રફુલ પટેલે રજૂ કર્યો હતો. આ પછી કમિટીના સભ્યો શરદ પવારને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ પ્રફુલ પટેલે પત્રકાર પરિષદ દ્વારા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “શરદ પવારે 2 મેના રોજ અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું હતું. તેમણે આગળની કાર્યવાહી માટે અને નવા પ્રમુખની પસંદગી માટે પક્ષના નેતાઓની એક સમિતિની નિમણૂક કરી હતી. આજે અમારી કમિટીની બેઠક હતી. જેમાં અમે શરદ પવારને તેમનો કાર્યકાળ પૂરો કરવા વિનંતી કરી છે. શરદ પવારે અમને જાણ કર્યા વગર જ નિર્ણય લીધો હતો. પક્ષના કાર્યકરો અને આગેવાનની તમામ માગણીઓને ધ્યાનમાં લઈને આજે અમે બેઠક યોજી હતી અને સમિતિએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. સમિતિ સર્વસંમતિથી આ રાજીનામું નામંજૂર કરે છે અને અમે તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રાખવા વિનંતી કરીએ છીએ.”
શરદ પવારની જાહેરાત બાદ જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. તેમણે શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની માગ કરી હતી. આ દરમિયાન શરદ પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર બહારના પક્ષના કેટલાક સાથીદારો આ મુદ્દે ચર્ચા કરવા શુક્રવારે તેમને મળશે. જે બાદ તેઓ એક-બે દિવસમાં અંતિમ નિર્ણય લેશે. શરદ પવારના સમર્થનમાં વિરોધ કરી રહેલા સમર્થકોએ આ દરમિયાન કહ્યું હતું કે, “તેમણે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોઈની નિમણૂક કરવી જોઈએ અને તેમણે પોતે પાર્ટી અધ્યક્ષની ભૂમિકામાં રહેવું જોઈએ.”
અગાઉ મહારાષ્ટ્ર દિવસ પર શરદ પવારના આત્મકથાના વિમોચન દરમિયાન શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું, “મારા મિત્રો! હું એનસીપી પ્રમુખ પદ છોડી રહ્યો છું, પરંતુ સામાજિક જીવનમાંથી નિવૃત્ત નથી થઈ રહ્યો. સતત મુસાફરી મારા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. હું જાહેર સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપવાનું ચાલુ રાખીશ. મને લાંબા સમય સુધી પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી. મેં ઘણા વર્ષો સુધી પ્રમુખ પદની જવાબદારી નિભાવી. હવે હું ઈચ્છું છું કે કોઈ અન્ય વ્યક્તિ આ જવાબદારી ઉઠાવે. હવે હું પ્રમુખ પદેથી નિવૃત્તિ લઈ રહ્યો છું.”








