નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ પણ આપ્યું હતું. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું સ્વાગત કરીને આનંદ થયો. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત થઈ રહેલી પ્રગતિ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ઝિયો ગોરે પણ આ બેઠક અંગે માહિતી આપી હતી. તેમણે બેઠકની તસવીર શેર કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે માર્કો રૂબિયો સાથેની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. તેમણે જણાવ્યું કે સુરક્ષા, વેપાર અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. તેમણે ઉમેર્યું કે આ સહયોગ બંને દેશોને વધુ મજબૂત બનાવશે અને મુક્ત તથા ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ ધપાવવામાં મદદરૂપ થશે.
આ પ્રવાસને અમેરિકાના વર્તમાન રાજકીય તબક્કાના સૌથી મહત્વપૂર્ણ પ્રવાસોમાંનો એક ગણાવવામાં આવી રહ્યો છે. અમેરિકી પક્ષ તરફથી અગાઉ જણાવાયું હતું કે 21મી સદીમાં અમેરિકાની સફળતા માટે ભારત મહત્વપૂર્ણ ભાગીદાર છે. વ્યૂહાત્મક ભાગીદારીની વાસ્તવિક કસોટી મતભેદોને કેવી રીતે ઉકેલવામાં આવે અને સામાન્ય હિતના ક્ષેત્રોને કેવી રીતે આગળ વધારવામાં આવે તેમાં રહેલી છે.
વેપાર, ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, સપ્લાય ચેઇન, સંરક્ષણ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચે વધુ મજબૂત સહયોગથી બંને દેશોને અલગ-અલગ કામ કરવા કરતાં વધુ લાભ થઈ શકે છે, એવો અમેરિકી પક્ષનો અભિપ્રાય વ્યક્ત થયો હતો.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ચાર દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ 24 મેના રોજ સવારે 11:30 વાગ્યે તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક કરશે.
તે જ દિવસે સાંજે 6:20 વાગ્યે માર્કો રૂબિયો અમેરિકન દૂતાવાસમાં યોજાનારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.








