નવજીવન નવી દિલ્હીઃ દેશના પ્રખ્યાત કથક ડાન્સર અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશ્યિલ મીડિયા દ્વારા મહારાજના નિધનની જાણકારી આપી છે.
લખનૌના બિરજુ મહારાજનું સાચું નામ બ્રિજમોહન મિશ્રા હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનૌમાં થયો હતો. લોકો તેમને આદરપૂર્વક પંડિતજી અથવા મહારાજજી કહીને બોલાવતા હતા. તેમણે ઉત્તમ ડાન્સર હોવાની સાથે સાથે બિરજુ મહારાજની હિન્દુસ્તાની ક્લાસિક મ્યુઝિક ઉપર પણ સારી પકડ હતી.
પંડિત બિરજુ મહારાજ રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે લગભગ 12:00 વાગ્યા સુધી તેમના પૌત્રો સાથે અંતાક્ષરી રમતા હતા. અંતાક્ષરી રમતી વખતે અચાનક તેની તબિયત લથડી અને તે બેહોશ થઈ ગયા. તેમને દિલ્હીની સાકેત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પંડિત બિરજુ મહારાજને થોડા દિવસો પહેલા કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેઓ ડાયાલિસિસ પર ગયા હતા પરંતુ ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડી અને તેમનું અવસાન થયું.
બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. 2012માં તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં બાજીરાવ મસ્તાનીના ગીત ‘મોહે રંગ દો લાલ’ને કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
![]() |
![]() |
![]() |











