નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી જેલ સહાયકની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. ગૃહવિભાગ દ્વારા 800 જેટલા જેલ સહાયકની ભરતી કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. વિગતો મળી રહી છે કે એલઆરડીની સાથે સાથે જ જેલ સહાયકની ભરતીની પ્રક્રિયા પણ કરવામાં આવશે.
હાલમાં જ 10459 જગ્યાઓ પર એલઆરડીની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં 8476 પુરુષ ઉમેદવારો અને 1983 મહિલાઓનો સમાવેશ કરાયો હતો. હમણાં જ જાન્યુઆરી મહિનામાં તેમની શારીરિક કસોટી કરવામાં આવી હતી જેમાં 6.56 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના પરિણામમાં કુલ 2.94 લાખ પરીક્ષાર્થીઓ પાસ થયા અને તેમની લેખિત પરીક્ષા એપ્રિલમાં લેવાઈ ગઈ છે. તેનું પણ પરિણામ જાહેર થઈ ચુક્યું છે. હવે જુલાઈના અંત સુધીમાં તે પાસ થયેલાઓના ડોક્યૂમેન્ટ્સને વેરિફાય કરવાની કામગીરીને શરૂ કરી દેવાશે તેવા અહેવાલો છે.
હવે વિગતો એવી છે કે નવી 800 જેલ સહાયકોની ભરતીની પ્રક્રિયા પણ એલઆરડીની ભરતી સાથે સાથે જ શરૂ કરી દેવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ ભરતી પ્રક્રિયાને લીલીઝંડીને જોતા ઘણા બેરોજગાર યુવાનોમાં આશાના અંકુર ફૂટ્યા છે.








