જય અમિન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): સાબરકાંઠાના ઇડર તાલુકાના સમલાપુર ગામમાં એક જ વર્ષમાં બે માસૂમ ભાઈઓની હત્યા કર્યાની કબૂલાત આરોપી સાવનજી અળખાજી ઠાકોરે કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બે દિવસ અગાઉ 8 વર્ષના કેવલજી ઠાકોરની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ દરમિયાન વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ 12 વર્ષના અમિતજી ઠાકોરનું અપહરણ કરી તેને ચેકડેમના પાણીમાં ધક્કો મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ઇડરના સમલાપુર ગામમાં એક બાદ એક બે માસૂમ બાળકોની હત્યાની વાત સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. બે દિવસ અગાઉ 8 વર્ષના કેવલજી ઠાકોરના અપહરણ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. કેવલજીનો મૃતદેહ ગામની સીમમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે 19 વર્ષીય સાવનજી અળખાજી ઠાકોરને ઝડપી તેની કડક પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ કેવલજીની હત્યા ઉપરાંત તેના મોટા ભાઈ 12 વર્ષીય અમિતજી ઠાકોરની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ અમિતજીનું અપહરણ કર્યા બાદ તેને ચેકડેમના પાણીમાં ધક્કો મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
એક જ પરિવારના બે ભાઈઓના અપહરણ અને હત્યાની કબૂલાત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પ્રાથમિક તપાસમાં જમીનના વિવાદ અને અંધશ્રદ્ધાના વહેમને લઈને બંને બાળકોની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ, બંને ઘટનાઓ વચ્ચેની કડી અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
કેવલજી ઠાકોરની હત્યાના ગુનાની તપાસ દરમિયાન જ અમિતજી ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસ હવે બંને ઘટનાઓને જોડતી કડીઓ તપાસી રહી છે. હાલ આરોપી સાવનજી અળખાજી ઠાકોર પોલીસ રિમાન્ડ હેઠળ છે. ઇડર પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધી અમિતજી ઠાકોરની હત્યા અંગે સઘન તપાસ શરૂ કરી છે.
એક જ પરિવારના બે માસૂમ ભાઈઓની હત્યાની કબૂલાત સામે આવતા સમલાપુર સહિત સમગ્ર ઇડર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઈ છે. પોલીસ હવે આ બંને હત્યાઓ પાછળના કારણો, આરોપીની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો એકત્ર કરી રહી છે.








