કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):ગુલઝાર (Gulzar) ફિલ્મોના ગીતકાર તરીકે જાણીતા છે; તદ્ઉપરાંત તેમનું ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર તરીકે કામ પોંખાયેલું છે. પણ હાલમાં ગુલઝાર અંગેની સાવ અજાણી વાત જાણવા મળી કે તેઓ બાળકો માટે થોકબંધ લખે છે. ફિલ્મોમાં અને ધારાવાહિકોના ટાઇટલ ગીતોમાં ગુલઝારની બાળકોના ગીતો અનેક વાર સાંભળ્યા છે. જેમાં ‘લકડી કી કાઠી…’, ‘જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ…’, જેવાં સદાબહાર ગીતો છે. ઉપરાંત, હાલનું મોટું-પતલું બાળસિરીઝનું ‘મોટુ ઔર પતલુ કી જોડી, ના ઢેલા ના દમડી ના કૌડી…’ ગીત પણ તેમણે જ લખેલું છે. પણ આ ગીતો તેમણે ફિલ્મ કે ધારાવાહિકની આવશ્યકતા અનુસાર લખ્યાં છે. પરંતુ સ્વતંત્ર રીતે તેઓ બાળકો માટે સર્જન કરતાં હોય તે હાલમાં ‘એનસીઇઆરટી’ના પૂર્વ માર્ગદર્શક યોગેન્દ્ર યાદવના (Yogendra Yadav)એક લેખ પરથી જાણવા મળ્યું. બાળકો માટે સર્જનાત્મક લખાણની આપણી ભાષા ગુજરાતીમાં છે; તેમ હિંદીમાં પણ છે. એટલે જ્યારે ગુલઝાર જેવી વ્યક્તિનું કોઈ સર્જન આવે તો તેની વાત થવી જોઈએ.

યોગેન્દ્ર યાદવે આ પૂરી વાત તેમને ગુલઝારના ‘સમય પોસ્ટ’ નામના પુસ્તકોના સેટથી માંડી છે. તેઓ લખે છે : “મને હાલમાં ખુબ સુંદર ભેટ મળી. આ ભેટ ‘સમય પોસ્ટ’ની સારી રીતે ડિઝાઈન થયેલું અને પેક કરેલું એક બોક્સ છે. તેમાં ગુલઝાર દ્વારા લખવામાં આવેલાં 14 પુસ્તકો છે અને પુસ્તકોમાં એલન શૉના અદ્ભુત ચિત્રો છે. મોટા ભાગના લોકોને ખબર નથી કે ગુલઝાર બાળકોના ઉમદા વાર્તાકાર છે. આ સેટમાં મારી ખૂબ ગમતી પુસ્તક છે : ‘ઉટપટાંગ’ અને ‘આપા કા આપડા’. પુસ્તકમાં જોવા મળતાં રસાળ પ્રાસજોડકણા અને અતાર્કિક વાતો બંગાળના કવિ સુકુમાર રાયની જાણીતી કૃતિ ‘આબોલ તાબોલ’ની યાદ અપાવે છે. આ પુસ્તક પ્રકાશિત કરનારા ‘એકતારા’નું આ પ્રથમ પ્રકાશન નથી. આ અગાઉ બાળકો માટે તેમના પ્રકાશનના પુસ્તકોની વિવિધતા અને ગુણવત્તા મને ગમી હતી.”
ગુજરાતના બાળકો હિંદી ફિલ્મો અને બાળકોની હિંદી ચેનલ્સ જુએ છે. પરંતુ બાળકોના હિંદી પુસ્તકોની વાત આવે ત્યારે મહદંશે તેમાં ઝાઝા વિકલ્પ મળતા નથી. ગુજરાતમાં હિંદી બાળસાહિત્ય સરળતાથી ઉપલબ્ધ પણ થતું નથી. આ સ્થિતિ કેમ છે તે વિશે યોગેન્દ્ર યાદવ લખે છે : “એ જાણીતી વાત છે કે બાળસાહિત્યમાં દુનિયા ખૂબ આગળ નીકળી ચૂકી છે. મારાં પત્ની અને હું આજે વીસ-પચ્ચીસના થઈ ચૂકેલા મારા બાળકો માટે ભારતીય ભાષામાં પુસ્તક શોધવા નીકળતાં તો હંમેશા ચિંતામાં રહેતા. અમારી ચિંતા હતી કે અમારા બાળકો પોતાની ભાષા બંગાળી અને હિંદીનો વારસાથી અળગા થઈને માત્ર અંગ્રેજી બોલનારા બાળકો બનીને ન રહી જાય. તે વખતે મેં નોંધ્યું હતું કે મહંદશે પુસ્તકો આકર્ષક નહોતા અને તે શબ્દોથી ઠાંસીઠાંસીને ભરી દેવામાં આવતા હતા. તેમાં ‘અકબર-બિરબલ’, ‘ચાચા ચૌધરી’, ‘તેનાલીરામ’, ‘પંચતંત્રની કથાઓ’, ‘અમરચિત્ર કથા’ની કૉમિક્સ અને સામિયકોમાં ‘ચંપક’, ‘પરાગ’ અને ‘લોટપોટ’ થોડા વધુ સારા હતા. તે વખતે ‘નેશનલ બુક ટ્રસ્ટ’ અને ‘ચિલ્ડ્રન બુક સ્ટ્રસ્ટ’ દ્વારા બાળકો માટે વધુ સારાં પુસ્તકો પ્રકાશિત થતા હતા. જેમ કે, તેમાં મિકી પટેલની ‘રૂપા હાથી’ વિશે અમને માહિતી મળી હતી. ક્યારેક ક્યારેક અન્ય પ્રકાશનો તરફથી કેટલાંક સારાં પુસ્તકો મળી જતા. જેમ કે, કમલા ભસીનની ‘માલુ ભાલુ’. અમે મહારાષ્ટ્રની એક લોકકથા ‘ઇક્કી દોક્કી’ના માધ્યમથી તુલિકા બુક્સ અને ‘રાજા કપિ’ની શૌર્યગાથાના માધ્યમથી કરડી ટેલ્સની ઓડિયોબુક્સ સુધી પહોંચ્યા. આ કથાઓના પરિચયથી અમે દેશની અન્ય ભાષાઓના વાર્તાઓ સાથે જોડાયા. પરંતુ અમારે નવા પુસ્તકો માટે ઘણી શોધખોળ કરવી પડતી હતી.”
યોગેન્દ્ર યાદવ બાળસાહિત્યના સર્જન સાથે જોડાયેલા નથી, પરંતુ ‘એનસીઇઆરટી’ના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાથમિક શાળાઓના બાળકો માટે નમૂનારૂપ પાઠ્યપુસ્તકો તૈયાર થયા છે. તેઓને બાળસાહિત્યની સારી પરખ છે અને તેમનો અનુભવ બહોળો છે. એટલે તેઓ દેશમાં બાળસાહિત્યની સ્થિતિ વિશે લખે તે નોંધવું રહ્યું. યોગેન્દ્ર યાદવ લખે છે : “કેટલાંક અપવાદોને બાદ કરીએ તો આપણા દેશમાં બાળકોની પુસ્તકોની વાર્તાઓ, ચિત્રાંકન અને ડિઝાઈનના મામલે યુરોપ અને અમેરિકાના સરખામણીએ ક્યાંય ન ટકી શકે. આપણે ત્યાં પૌરાણિક કથાઓની આટલી લાંબી પરંપરા રહી છે છતાં આ સ્થિતિ છે – તે યોગ્ય નથી. આપણે ખરેખર શરમ અનુભવવી જોઈએ કે આપણું કોઈ પણ પુસ્તક જુલિયા ડોનાલ્ડસનની ‘દ ગ્રૂફલો’ કે તેમના અન્ય પુસ્તકો સામે કેમ ન ટકી શકી. આપણે પુસ્તકોના આ સાંસ્કૃતિક યુદ્ધમાં હેરિ પોટરથી પણ હારી ગયા. સત્યજિત રે રચિત ‘શોનાર કેલા’ અને તેના નાયક ફેલુદાના રોમાંચને જે. કે. રાઉલિંગનાં કલ્પનાવિશ્વ હોગવટ્સના જાદુ-ટોણાએ પાછળ છોડી દીધા. જો બાળસાહિત્યની ગુણવત્તાને માપદંડ માનીએ તો આપણે માથું ઊંચુ કરી શકીએ એ સ્થિતિમાં નથી.”
બાળસાહિત્ય ખરેખર કેવું હોવું જોઈએ તે વાત બાળસાહિત્યકાર ગિજુભાઈ બધેકા અને તારાબહેને મોડકે સરસ રીતે વર્ણવ્યું છે. રમણ સોની સંપાદિત ‘અવતરણ’ પુસ્તકમાં ગિજુભાઈ અને તારાબહેનના આ વિચારને કાયમી વળગી રહેવા જેવું છે. એ લખાણ : “બાળકો માટે લખવું એટલે સહેલું ને જોડાક્ષરો ન હોય એવું લખવું, કાંઈક બોધપ્રદ લખવું, એમ મનાય છે. એમ પણ મનાય છે કે જરા કાલુંઘેલું, જરા વાર્તારૂપે, જરા સંવાદાત્મક હોય તો બાલસાહિત્ય બને. પરંતુ બાલવાચનમાં મોટાઓનાં સાહિત્યના બધા ગુણ હોઈ શકે, હોવા જોઈએ. માત્ર કક્ષાફેર હોય, વસ્તુફેર હોય, ભાષાફેર હોય; પણ તે સાહિત્ય તો હોય જ. બાલસાહિત્યમાં ભાષાની કોમલતા હોય અને ગૌરવ પણ હોય, ભાષાનું રૂમઝૂમતું સંગીત હોય ને વિચારની સૂક્ષ્મ ઝીણવટ પણ હોય, હૃદયને ડોલાવે એવું ડોલન હોય તો સાથે સુંદર તોલન પણ હોય.”
બાળસાહિત્ય માટે આવું કહી શકનારા તેની સાથેનો સતત સંપર્ક જાળવી શકતા હોવા જોઈએ. તેમાં નવું શું આવ્યું છે તે તેમને ખબર હોવી જોઈએ. યોગેન્દ્ર યાદવ તેના પર સતત નજર રાખે છે. તેઓ જ્યારે છેલ્લે ચેન્નઈ ગયા અને બાળસાહિત્ય વિશે તપાસ કરી તો તેમને થોડી આશા જાગી હોય એમ તેઓ લખે છે : “બે મહિના અગાઉ ચેન્નઈ ગયો હતો. ત્યાં હું તુલિકા બુક્સની કાર્યાલય પર પહોંચ્યો, જેથી જાણી શકું બાળ સાહિત્યમાં કશુંક નવું પરિવર્તન આવ્યું છે કે નહીં. મેં જોયું કે વાસ્તવિક ચિત્ર બદલાયું છે. ‘ઇક્કી દોકી’ જેવાં આરંભિક પુસ્તકોના સફળતાથી આગળ વધીને તુલિકા બુક્સ પાસે હવે 9 ભાષાઓમાં એક હજારથી વધુ પુસ્તકોના ટાઇટલનો સંગ્રહ છે. તુલિકાની સંસ્થાપક રાધિકા મેનને મને તે પરિવર્તન વિશે જણાવ્યું. વિશેષ કરીને અંગ્રેજીમાં પ્રકાશિત થનારા પુસ્તકો વિશે. તેમાં ઘણાં જાણીતા નામો સિવાય કેટલાંક નાનાં અને સ્વતંત્ર પ્રકાશકો જેમ કે, ‘ઇકતારા’, ‘એકલવ્ય’, ‘પ્રથમ’, ‘કથા’, ‘કરડી ટેલ્સ’, ‘તારા’, ‘પિકલ યોક’, ‘ડકબિલ’ અને ‘ટોકિંગ કબ’ જેવાં નામો છે. આ પ્રકાશકો ભારતીય સંસ્કૃતિ અને વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરીને પ્રયોગાત્મક અને નવસર્જનનું હાલમાં નેતૃત્વ કરી રહ્યા છે.”
બાળસાહિત્યના માર્કેટ વિશે જણાવતા યોગેન્દ્ર યાદવ લખે છે કે, ‘આપણા દેશમાં કુલ પ્રકાશિત થતા પુસ્તકોમાં પાઠ્યપુસ્તકોને બાદ કરીએ તો બાળકોના પુસ્તકોની ટકાવારી માંડ એક ટકા છે. તેના પ્રકાશક અને ગ્રાહક અત્યારે તો મુખ્યત્વે મધ્યમવર્ગ અને ઉચ્ચ જ્ઞાતિનો શહેરી વર્ગ છે. બાળકોના લેખન માટે પૂર્ણસમયની કારકિર્દી સ્વીકારવી તે પણ મુશ્કેલ કાર્ય છે. આ બજારમાં હજુ પણ વિદેશી પુસ્તકોનું પ્રભુત્વ છે. સાથે જ કેટલાંક કિસ્સામાં પૌરાણિક અને ઘટના આધારીત પુસ્તકોની નબળી આવૃત્તિઓની બોલબાલા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ પરિવર્તન મહદંશે અંગ્રેજી અને કેટલાંક હદ સુધી હિંદી સુધી મર્યાદિત છે. હિંદીમાં આ પરિવર્તનની આગેવાની ‘ઇકતારા’ અને બાળવિજ્ઞાન સામયિક ‘ચકમક’ના પ્રકાશક એકલવ્ય કરી રહ્યા છે. અન્ય ભાષાઓમાં પ્રકાશિત કરનારાં ‘પ્રથમ બુક્સ’, ‘કથા’ અને ‘તુલિકા’ પણ હિંદીમાં સારા પુસ્તકો પ્રકાશિત કરે છે. ગુજરાતીમાં ગિજુભાઈ બધેકા, બંગાળીમાં સુકુમાર રાયના લેખન અને મલયાલમમાં કેરળના શાસ્ત્ર સાહિત્ય પરિષદનો સમૃદ્ધ વારસો હોવા છતાં ભારતીય ભાષાઓમાં બાળસાહિત્યની સ્થિતિ ખરાબ છે. અને આમાં જો હું ખોટો સાબિત થવું તો તેનો મને આનંદ થશે.”
બાળસાહિત્ય વિશે યોગેન્દ્ર યાદવની હજુ પણ અનેક વાતો અહીં શબ્દમર્યાદા કારણે થઈ ન શકી, પરંતુ બાળસાહિત્ય ઉમદા નાગરિક તૈયાર કરવાનું ભાથું બની શકે અને આ વાત લોકોએ જ સમજવી પડશે, જેથી પ્રકાશકો સારું બાળસાહિત્ય કરવા પ્રેરાય.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796