નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં યુનિવર્સિસિટીમાં સેનેટની ચૂંટણીનું એક આગવું મહત્વ છે. ગુજરાતમાં એવા અનેક ઉદાહરણો છે જે વિદ્યાર્થીકાળમાં એક વિદ્યાર્થી નેતા રહ્યા હોય અને આગળ જતાં તેઓએ દેશનું પ્રતિનિધિત્વ અલગ અલગ ક્ષેત્રોમાં કર્યું હોય. આજે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચૂંટણીઓ યોજાઇ હતી, પરંતુ આ ચૂંટણી દરમિયાન ધારૂકાવાલા કોલેજમાં એક અણબનાવ પણ બન્યો હતો. જેમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS વચ્ચે મારમારી થઈ હતી.
પ્રાથમિક વિગતો મુજબ ધારૂકાવાલા કોલેજમાં વોટિંગ પ્રક્રિયા દરમિયાન ABVPના ઉમેદવાર વોટીંગ બુથમાં હોવાની ફરિયાદ સામે આવી હતી. જેને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટીના સમર્થક ઉમેદવારની ટીમ ધારૂકાવાલા કોલેજમાં પ્રવેશી હતી. બંને પક્ષો સામસામે આવી જતાં બંને વચ્ચે મારમારી થઈ હતી.
આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ચૂંટણીમાં ગેરરીતિ કરવામાં આવી રહી છે, તેમણે આ અંગે યુનિવર્સિટીના કુલપતિ અને ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી હતી પણ તેમણે કોઈ પગલાં લીધા ન હતા જેના કારણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદ સદસ્ય રાકેશ હિરપરા, સુરત લોકસભા ઈન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય પદાધિકારીઓ યુનિવર્સિટીમાં ધરણા ઉપર બેઠા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS તરફથી ઉમેદવાર વિશાલ વસોયા અગાઉ PAASમાં સક્રિય હતા જેના કારણે આ સમગ્ર ઘટનામાં ઘણા પાટીદાર કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં કોલેજમાં ઘૂસી આવ્યા હતા.








