નવજીવન ન્યૂઝ.પંચમહાલ:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પાનમડેમ નજીક આવેલા ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિકાસની હરણફાળ ભરવાની વાતો કરતા ગુજરાત વચ્ચે આવો વિસ્તાર હોવો પણ આશ્ચર્ય સમાન છે. અને આવો તો એક નહીં બીજા ઘણાં વિસ્તારો છે.

મોબાઈલ નેટવર્ક બરાબર ન પકડાતું હોવાને કારણે અહીના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ તેમજ શાળાઓના કર્મીઓને પણ ઉપરી અધિકારીઓની સાથે ટેલિફોનિક વાતચીત કે પછી સરકારી વહિવટને લગતી કામગીરી માટે પરેશાન થાય છે. આ વિસ્તારમાં જ્યાં નેટવર્ક મળી શકે ત્યાં આવીને કોમ્યુનિકેશન કરવું પડતું હોય છે. અહીં મજબુત નેટવર્ક ધરાવતો મોબાઈલ ટાવર નાખવામા આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામા આવી રહી છે. કરણ જ્યાં દુનિયા આગળ વધી રહી છે ત્યાં અહીના લોકોને પણ કદમથી કદમ મિલાવવાનો હક છે.
દેશમાં ડીઝીટલ ઈન્ડિયાની મોટી મોટી વાતો થતી હોય પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આજે એવા પણ ગામો છે. જ્યાં સ્માર્ટ મોબાઈલ તો પહોચ્યો છે પણ નેટવર્કનો અભાવ જોવા મળે છે. તાલુકાના છેવાડાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા કોઠા, આંસુદરિયા, જુનાખેડા, સહિતના ગામોમાં નબળા મોબાઈલ નેટવર્કના કારણે સ્થાનિક લોકોને પોતાના સગાસબંધીઓ, તંંત્ર, તેમજ આરોગ્યને લગતી હેલ્પલાઈન સેવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી પાનમડેમ આવેલો હોવાની વિભાગની કચેરી પણ આવેલી છે.

સાથે વીજવિભાગનુ સબસ્ટેશન પણ આવેલું છે. અહી પ્રાથમિકશાળાઓ, પોસ્ટ ઓફીસ પણ આવેલી છે. અહીં ફરજ બજાવતા શિક્ષકો, કર્મચારીઓને પણ નેટવર્કના અભાવે ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ઓનલાઈન કામ નેટવર્ક ના હોવાને કારણે ખોરવાતા હોય છે. અહીં ગ્રામીણ વિસ્તારમાં રહેતો યુવાવર્ગ સ્માર્ટ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, પણ નબળા નેટવર્કના અભાવે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતું ઓનલાઈન શિક્ષણ પણ લઈ શક્તા નથી.
વધુમાં મોબાઈલ નેટવર્કના અભાવે અન્ય જ્યાં મોબાઈલ નેટવર્કવાળા વિસ્તાર છે ત્યાં જવુ પડતું હોય છે. વધુમાં અહી આરોગ્યને લગતી ઈમરજન્સી ઊભી થાય ત્યારે નેટવર્ક ન હોવાને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને કોલ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા અહી મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવે અને નેટવર્કને લગતી સમસ્યા દૂર તેવી માંગ કરવામા આવી રહી છે.
(અહેવાલ વિજયસિંહ સોલંકી, પંચમહાલ)
![]() |
![]() |
![]() |











