નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં મનરેગાના કર્મચારીઓના પગારને લઈને અવારનવાર વિવાદો ઊભા થયા છે. આજે વધુ એક વખત છેલ્લા 5 મહિનાથી મનરેગાના કર્મચારીઓનો પગાર થયો ના હોવાની બુમો ઉઠી છે. જેને લઈને આ કર્મચારીઓએ મોટો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ છે. તંત્ર આખું આ ચૂંટણીના કામે લાગી ગયું હોય તેવો માહોલ છે. તેવા સંજોગોમાં ગુજરાતમાં મનરેગાના કર્મચારીઓની રાવ ઊભી થઈ છે કે છેલ્લા 5 મહિનાથી પગાર થયો નથી. તો પછી આ પગાર ક્યારે થશે તેને લઈને ચિંતા ઊભી થઈ છે કારણ કે મનરેગામાં કામ કરતા કર્મચારીઓ કોઈ એવા હાઈ પે સ્કેલ પર કામ કરતા કર્મચારીઓ નથી. 5 મહિના પગાર ના આવે તો તેમના જીવન ધોરણના બધા કેલ્ક્યૂલેશન્સ પર તુરંત અસર થાય તેમ છે.
આ મામલાને લઈને ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન દ્વારા સત્તાધિશોને લેખિત તેમજ ગાંધીનગરમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે હજુ પણ તેનું નિરાકરણ ના આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ અંગે યુનિયનના ઉપ પ્રમુખ મેઘરાજસિંહ સોઢા કહે છે કે, આ પાંચ મહિનાનો પગાર ઘણો મોટો પ્રશ્ન છે કારણ કે આ અમારા જીવન નિર્વાહ પર અસર કરે છે. આ ઉપરાંત પગાર વાધારા, પીએફ સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાના છે. પરંતુ સતત રજૂઆત છતા તેનો નિકાલ આવ્યો નથી.
તેમણે કહ્યું કે, હવે અમે નક્કી કર્યું છે કે, ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને જો યોજનાકીય કામગીરી સિવાય અન્ય કામગીરી સોંપવામાં આવશે તો તે કામગીરીનો કાળી પટ્ટી પહેરીને વિરોધ દર્શાવીશું. જેની આદેશ ના મળે ત્યાં સુધી અમલવારી કરીશું. એક દિવસ માટે અમે પેન ડાઉન કાર્યક્રમ આપ્યો છે તે પછી પણ જો નિરાકરણ નહીં આવે તો યુનિયન દ્વારા એક દિવસીય માસ સીએલ મૂકીને કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ કરીશું.




















