નવજીવન ન્યૂઝ. કડી: 15મી ઓગસ્ટ નજીક આવતા જ કેન્દ્ર સરકાર દ્વારા ‘ઘર ઘર તિરંગા’ મુહિમની શરૂઆત કરવામાં આવી છે. જેને ગુજરાત ભાજપ દ્વારા ગંભીરતાથી લઈને અલગ અલગ જગ્યાઓએ તિરંગા યાત્રા (Tiranga Yatra) કાઢવામાં આવી રહી છે. ગુજરાતનાં વિવિધ સ્થળોએ ભાજપના નેતાઓની આગેવાનીમાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે આવી જ એક તિરંગા યાત્રામાં ગુજરાતનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) સાથે એક દુર્ઘટના ઘટી છે અને તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ આજે કડીમાં ભાજપ દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા દરમિયાન નિતિન પટેલને એક ગાયે અડફેટે લીધા હતા, જેના કારણે તેમણે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલ (Bhagyoday Hospital)માં લઈ જવા પડ્યા હતા. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે નિતિન પટેલને ઢીંચણના ભાગમાં ઇજા પહોંચી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. મોટા ભાગે આ રસ્તે રખડતા ઢોરના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે, પણ હવે આજે ગુજરાત ભાજપના દિગ્ગજ ગણાતા નેતા નિતિન પટેલને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.








