નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ગુજરાતનાં દરેક પક્ષો લગભગ પ્રજાને પોતાના પક્ષ તરફ ખેંચવામાં લાગી ગયા છે. આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે, અત્યાર સુધીની ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું છે કે ગુજરાતની જનતાએ ત્રિપંખીઓ જંગ સ્વીકાર્યો નથી, પરંતુ આ વર્ષે આમ આદમી પાર્ટીના આવવાથી ચિત્ર કઈક અલગ ઊભું થયું હતું. ગુજરાતની રાજનીતિ પહેલાથી રાજનીતિની કોલેજ કહેવાય છે અને આ કોલેજના જૂના વિદ્યાર્થી પણ હવે ફરીથી ગુજરાતની રાજનીતીમાં પ્રવેશ કરે તેવા એંધાણ મળી રહ્યા છે.
ગુજરાતની રાજનીતિના જૂના જોગી કહેવાતા શંકરસિંહ વાઘેલા ફરીથી ગુજરાતની રાજનીતીમાં સક્રિય થવા જઈ રહ્યા છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. આ અંગે તેમના જૂના મિત્ર ડૉ. શુભમણ્યમ સ્વામીએ પણ એક સૂચક ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાએ પણ એક ખાનગી કંપનીને ઇન્ટરવ્યુ આપ્યું હતું જેમાં પણ તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી.
ઇન્ટરવ્યુ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, “ગુજરાતનાં રાજકારણના જૂના મિત્રોની ઈચ્છા હતી કે હું ફરીથી કોંગ્રેસમાં જોડાઈ જાઉં, પણ તે કેટલાક કારણોના લીધે શક્ય બન્યું નહીં. ત્યારે હવે દોઢ વર્ષ પહેલા ભારતના ચૂંટણી કમિશનમા લિસ્ટિંગ કરાવેલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લોન્ચ કરવાનો સમય આવી ગયો છે.”
શંકરસિંહ વાઘેલાએ તેમના પક્ષ માટે ‘પંચામૃત’ મુદ્દાઓની ચર્ચા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ તેમના મુખ્ય મુદ્દાઓ પૈકી એક મુદ્દો ગુજરાતની દારૂબંધીનો કહ્યો હતો. આજ સુધી ગુજરાતમાં જેટલા પણ પક્ષો આવ્યા છે તેમણે ગમા-અણગમા સાથે ગુજરાતની દારૂબંધીને સ્વીકારી છે, પરંતુ શંકરસિંહ એક જ એવા વ્યક્તિ છે જેમણે આ દારૂબંધી હટાવવાનું વચન આપ્યું છે. તેની પાછળ શકરસિંહનો આટલા વર્ષનો રાજનીતિક અનુભવ પણ હોય શકે છે. આ ઉપરાંત તેમણે શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.








