Wednesday, September 2, 2026
HomeNationalબોલો... મંદિરના પણ CEO: રામ મંદિરના પહેલા CEO જીતેન્દ્ર મિશ્રાનું મોટું નિવેદન,...

બોલો… મંદિરના પણ CEO: રામ મંદિરના પહેલા CEO જીતેન્દ્ર મિશ્રાનું મોટું નિવેદન, કહ્યું- વીતી ગયેલી વાતો ભૂલી જાઓ, હવે બધું સારું થશે

- Advertisement -

CEO of Ayodhya Ram Janmabhoomi Teerth Kshetra trust: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે નિયુક્ત થયા બાદ નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. નવી જવાબદારી મળ્યા બાદ તેમણે કહ્યું કે, આટલા બધા ઉમેદવારોમાંથી તેમની પસંદગી થઈ તે પોતાનું સૌભાગ્ય માને છે અને ભગવાન શ્રીરામના આશીર્વાદથી આગળનો સમય સારો રહેશે. જોકે અહીં કોઈ ઔદ્યોગિક એકમમાં CEOનું પદ હોય છે તે સહુ માટે જાણીતું છે પરંતુ મંદિરમાં પણ હવે CEO હોય તે વાતે ઘણા લોકોને આશ્ચર્યમાં મુક્યા છે.

જીતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, ભારતીય વાયુસેનામાં દેશની લાંબા સમય સુધી સેવા કર્યા બાદ હવે ભગવાન શ્રીરામ અને રામભક્તોની સેવા કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે, આ તક મળવા બદલ તેઓ પસંદગી સમિતિ, રામ મંદિર ટ્રસ્ટ અને ભગવાન શ્રીરામના આભારી છે. તેમણે પોતાના પ્રથમ નિવેદનમાં કહ્યું કે, પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે જાહેર અને પારદર્શક હતી. હવે મળેલી જવાબદારીને યોગ્ય રીતે નિભાવવા માટે તેઓ સંપૂર્ણ પ્રયાસ કરશે. તેમણે ખાસ કરીને કહ્યું કે, તેઓ વીતી ગયેલા સમયની વાત કરવા માંગતા નથી, પરંતુ આવનારા સમય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

- Advertisement -

જીતેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, આવનારો સમય સારો રહેશે અને ભગવાન શ્રીરામની કૃપાથી આગળ બધું સારું થશે. તેમના આ નિવેદનને રામ મંદિર ટ્રસ્ટમાં તાજેતરમાં થયેલા મોટા ફેરફારો બાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે સ્વામી ગોવિંદદેવ ગિરિને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

ટ્રસ્ટમાં ખાલી પડેલા ત્રણ ટ્રસ્ટીના હોદ્દા પર પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. મહેશ ભાગચંદકા, મદન મોહન પાંડે અને ડૉ. નિર્મલા યાદવને નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. CEOની પસંદગી માટે રચાયેલી સમિતિની ભલામણ પર વિચાર કર્યા બાદ ટ્રસ્ટે એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂકને મંજૂરી આપી હતી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, તેમણે ભારતીય વાયુસેનામાં લગભગ 39 વર્ષ સુધી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે અને વહીવટી તથા નેતૃત્વનો લાંબો અનુભવ ધરાવે છે.

ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જીતેન્દ્ર મિશ્રાને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ટૂંક સમયમાં રામ મંદિરના CEO તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળે તેવી શક્યતા છે. રામ મંદિરમાં સતત વધી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં લેતા નવા CEO સામે મોટી જવાબદારીઓ રહેશે. મંદિરનું વહીવટ, સુરક્ષા વ્યવસ્થા, કર્મચારીઓનું સંચાલન, શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો અને એજન્સીઓ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરવાનું તેમના મુખ્ય પડકારોમાં સામેલ રહેશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular