નવજીવન અમદાવાદઃ અમદાવાદના નરોડા ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સ્વ. સતુભા ભાવસિંહજી ગોહિલને શ્રદ્ધાંજલી અને પ્રાથનાસભાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે ગુરુવારે નરોડા ખાતે એસટીના તમામ વિભાગના કર્મચારીઓ અને સ્વજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. સતુભા ગોહિલ તેમના ઘણા સતકાર્યો અને મૃદુ સ્વભાવને કારણે કર્મચારીઓમાં ઘણા લોકપ્રિય હતા.
મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મૂળ ધરાઈના રહેવાસી સતુભા ભાવસિંહજી ગોહિલ 84 વર્ષે અવસાન પામ્યા હતા. તેઓ તેમના પત્ની રસીકબા જેઓ સુરેન્દ્રનગરના મૂળીના હતા તે બંને સતકાર્યો કરવા હંમેશા તત્પર રહેતા હતા. તેઓ જીએસઆરટીસી કર્મચારી મહામંડળ ( આઈએનટીયુસી)ના પ્રમુખ પદ ઉપરાંત ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્કના એમડી તથા ડાયરેક્ટર, વલ્લભીપુર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ હતા. તેઓ ત્યાંના રાણી સાહેબના નામથી વિધવા સહાય માટે ચાલતા ટ્રસ્ટમાં પણ પ્રમુખ હતા. એક વખત એવું બન્યું કે તેમને વિધવા બહેનો માટે 80 લાખ રૂપિયા ભેગા કર્યા પરંતુ તેમની ઈચ્છા હતી કે આ રકમ 1 કરોડ સુધી પહોંચે. જોકે તે દરમિયાન થયું એવું કે તેમના સંતાનોએ આ અંગે તત્પરતા બતાવી અને તેઓએ 20 લાખનો ચેક આપી રકમને 1 કરોડ સુધી પહોંચાડી હતી. આમ તેમના સેવાના કાર્યોમાં તેમના સંતાનો પણ ક્યારેય પાછા પડ્યા ન્હોતા. તેમના જૈફ વયે થયેલા અવસાનને પગલે તેમને સારી રીતે જાણનારા તમામ દુઃખી થયા હતા. તેમને આ કારણે કર્મચારીઓ દ્વારા નરોડામાં શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
GSRTC કર્મચારી મહામંડળના પૂર્વ પ્રેસી. સતુભા ગોહિલને અમદાવાદના નરોડામાં કર્મચારીઓ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલી અપાઈ
- Advertisement -
- Advertisment -








