કોઈપણ સંબંધ માટે કે સમજણ માટે સંવાદ અને વાંચન અત્યંત અનિવાર્ય છે. બીજા રાજ્યમાં કે બીજા દેશમાં કોઈ જ્યારે આપણી ભાષા બોલનારી વ્યક્તિ મળી જાય ત્યારે ખૂબ જ આનંદ થાય છે. એવી જ રીતે જો ઉત્તમ સાહિત્ય પણ આપણી ભાષામાં ઉપલબ્ધ થાય તો અકલ્પિત જ્ઞાન પ્રાપ્ત થાય છે. અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટ પણ છેલ્લા 100 વર્ષ કરતાં વધારે સમયથી ગાંધી સાહિત્યનું સારથી બનીને લોકો સુધી ગાંધીવિચાર લઈ જવાનું કામ કરી રહ્યું છે.

ગાંધીએ 1919માં નવજીવનની સ્થાપના કરી ત્યારે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. ગાંધીએ અંગ્રેજ સરકારના કામ વિરુદ્ધ નવજીવન સામયિકમાં કલમ ચલાવી અને પોતાના વિચારો રજૂ કર્યા, જેના પરિણામ સ્વરૂપે જેલવાસ પણ ભોગવ્યો. આજે એ જ નવજીવન ગાંધીના વિચારોને આત્મસાત્ કરીને વિશ્વભરમાં ગાંધીના વિચાર પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. જેના ભાગરૂપે નવજીવને અત્યાર સુધીમાં 18 જેટલી ભાષામાં ગાંધીની આત્મકથા “સત્યના પ્રયોગો” પ્રકાશિત કરી છે. અને શનિવારે ગાંધીજયંતી નિમિત્તે વધુ 2 ભાષા “કશ્મીરી અને બોડો(આસામની એક ભાષા)”માં આ ઐતિહાસિક પુસ્તક પ્રકાશિત કર્યું.

નવજીવન ટ્રસ્ટ અને ગાંધીઆશ્રમના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન ગાંધીઆશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને ટ્રસ્ટી કપિલ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગમાં કશ્મીરી સૂફી ગાયક “ગુલઝાર અહમદ ગનાઈ” અને તેમના સાથી કલાકારો દ્વારા કશ્મીરી લોકગાયન અને શિવ તથા કૃષ્ણના કશ્મીરી લોકગીતો રજૂ કરીને ગુજરાતીઓને કશ્મીરની સંગીતયાત્રા કરાવી હતી. તથા નરસિંહ મહેતા રચિત ગાંધી ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ…”નો કશ્મીરી ભાષામાં અનુવાદ કરી, તેનું સ્વરાંકન કર્યું હોવાની પણ જાહેરાત કરી હતી.









