તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં ગુજરાત પોલીસ હજુ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી નથી ત્યાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પોલીસે કાર્યવાહીનો ધમધમાટ ઉપાડ્યો છે, જોકે ગુજરાત પોલીસની ધાકની તો શું વાત કરવી, આ સટ્ટોડિયાઓએ થોડા દિવસ પહેલા ગુજરાતના જાણીતા અખબારમાં જાહેરાત છપાવી હતી અને સટ્ટો રમવા માટે લોકોને આહ્વાન કર્યું હતું ત્યાં સુધી તો ઠીક પરંતુ આજે ફરી અખબારમાં પહેલા પાને જાહેરાત આપી છે અને અગાઉ આપી હતી તેના કરતાં પણ મોટી જાહેરાત પ્રસિદ્ધ કરાવી છે. આ અંગે પહેલા દિવસથી જ નવજીવન ન્યૂઝ દ્વારા સતત અહેવાલો પ્રસિદ્ધ કરી ગુજરાત પોલીસની ઉંઘ ઉડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ જગાડી શક્યા નહીં છતાં સારા સમાચાર એ છે કે મધ્યપ્રદેશ પોલીસે મહાદેવ બુકના મામલે ગુનો દાખલ કરી જોરદાર કાર્યવાહી શરૂ કરી છે. તો હવે ગુજરાત પોલીસ ઈચ્છે તો આજે પણ રાજ્યના અખબારમાં પ્રસિધ્ધ જાહેરાત ધ્યાને લઈ કાર્યવાહી કરી શકે છે.
છત્તીસગઢના ભિલાઈમાં ગત ગુરૂવારના રોજ સટ્ટાના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો છે. બાદમાં હવે અહેવાલોના માધ્યમથી નવા નવા સનસનીખેજ ખુલાસા સામે આવી રહ્યાં છે. મહાદેવ બુક નામથી ઓનલાઈન સટ્ટા જુગાર ચલાવતા રવિ અને સૌરભના પાકિસ્તાની કનેકશન હોવાની માહિતી ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ એ જ મહાદેવ બુક છે જેનો ખુલાસો કરતો એક્સક્લુઝિવ અહેવાલ નવજીવને પ્રસિધ્ધ કર્યો હતો. આ મામલે ગુજરાત પોલીસે કોઈ પગલા કે નક્કર કાર્યવાહી હજુ પણ કરી નથી. જેમાં આતંકી કનેકશન બાબતનો પણ સવાલ કરાયો હતો, પણ હવે ઉજ્જૈનમાં દાખલ થયેલી એક ફરિયાદ બાદ આ સટ્ટોડીયાઓના કારસ્તાનનો પર્દાફાશ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાની કનેકશન પણ હોવાનું સામે આવ્યું છે.
આ સાથે જ એક અન્ય એપ્લિકેશન રેડ્ડી અન્નાના કનેકશન મામલે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ સટ્ટાના પૈસાની હેરફરે માટે ઉદ્યોગપતિના બેંક ખાતમાં લઈ કમિશન આપી કામ પાર પાડતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ મામલે પોલીસે જેટલા પણ ખાતા નંબર સામે આવ્યા છે તેના માલિકો વિરૂધ્ધ ઘણી નોટિસ ઈશ્યૂ કરી દીધી છે. ત્યારે મહાદેવ બુકના માસ્ટરમાઈન્ડ ગણાતા સૌરભ અને રવિ સાથે જોડાયેલા લોકોની અને તેના રોકાણોની તપાસ ચાલી રહી છે. અહીં સુધી કે આ બુકીઓ દ્વારા રીતસર બેન્ક એકાઉન્ટ, ગુગલ પે, યૂપીઆઈ, પે-ટીએમ વગેરે જેવી ટ્રાન્ઝેક્શન એપ્લીકેશન્સ દ્વારા ઓછામાં ઓછા 100 રૂપિયા સ્વીકારી સટ્ટો રમવાની શરૂઆત કરાય છે અને વધુમાં વધુ કેટલી રકમ તેની કોઈ લીમિટ નથી.
એક ન્યૂઝ અહેવાલ મુજબ આ વેબસાઈટ સાથે દેશના 35 લાખ કરતા વધારે યુઝર્સ જોડાયા છે અને 5 રાજ્યોમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે. તેમજ આ કારસ્તાનના રોકાણકારો વિદેશી છે. આમ નવજીવન ન્યૂઝે પ્રસિધ્ધ કરેલા અહેવાલની તમામ આશંકાઓ સાચી પડતી જણાય રહી છે. સાથે જ ગત 4 એપ્રિલે છત્તીસગઢની ભીલાઈ પોલીસે પણ આ મહાદેવ બુકના ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે ઓનલાઈન સટ્ટો રમવા આઈડી પાસવર્ડ આપી રમાડાતા જુગારને ખુલ્લો પાડ્યો છે. છત્તીસગઢ પોલીસ પણ વિદેશી કનેક્શનની તપાસ કરી રહી છે.
ગુજરાત પોલીસે પણ આ મામલો ગંભીરતાથી સમજી રાજ્યમાં થતા ઓનલાઈન ગેમ્બલીંગને ઝડપવા કાર્યવાહી કરવી જોઈએ. તેમજ મહાદેવ બુકના નામે આવેલી જાહેરાતમાં આજે પણ (આ લખાય છે ત્યાં સુધી) કાળો કારોબાર ચાલુ છે તો તે મામલે પણ કાર્યવાહી કરી શકાય.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











