નવજીવન ન્યૂઝ.બનાસકાંઠાઃ ગુજરાતમાં ફરી એક વખત શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠામાં SOGની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક પીકઅપ વાહનમાંથી 171 જેટલા શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે પોલીસે વાહનચાલકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે અને ઘી ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ તેજ કરી છે.
મળતી માહિતી અનુસાર, SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ લાગતા એક પીકઅપ વાહનને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી મોટી સંખ્યામાં ઘીના ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે ‘રીવાજ પ્રીમિયમ ગાયનું ઘી’ અને ‘શ્રી કૃષ્ણકુંજ શુદ્ધ પ્રીમિયમ ઘી’ નામના બ્રાન્ડના કુલ 171 ડબ્બા કબ્જે કર્યા છે.
પોલીસે વાહન સહિત સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. હાલ આ ઘી અસલી છે કે નકલી તે અંગે ફૂડ વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા સેમ્પલ ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરતના માંડવી તાલુકાના ખેડપૂર વિસ્તારમાંથી પણ શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો હતો. અગ્રેશ્વર સોસાયટીમાં આવેલા એક મકાનમાં નકલી ઘી બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યાંથી અલગ-અલગ સાઈઝના ડબ્બામાં પેક કરાયેલું ઘી મળી આવ્યું હતું. ‘યદુગીરી’ બ્રાન્ડના નામે આ ઘીનું પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાતમાં વારંવાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના જથ્થા ઝડપાતા ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્ય અંગે ફરી સવાલો ઊભા થયા છે. હવે બનાસકાંઠામાં ઝડપાયેલા આ ઘીના જથ્થા પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.








