Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadAMC વિપક્ષના નેતાને બદલવાની માગ સાથે કોર્પોરેટર્સે સામાન્ય સભામાં વોક આઉટ કર્યું,...

AMC વિપક્ષના નેતાને બદલવાની માગ સાથે કોર્પોરેટર્સે સામાન્ય સભામાં વોક આઉટ કર્યું, દિલ્હી સુધી રજુઆત પર પરિણામ શૂન્ય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) કોંગ્રેસના વિપક્ષ નેતાને (Opposition Leader) લઈ વિખવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમય વિતી ચુક્યો છે. તેમ છતાં હજી સુધી વિપક્ષ નેતા બદલવામાં ન આવતા કોંગ્રેસના કોર્પોરેટર્સમાં (Congress Corporators) બે ભાગલા જોવા મળી રહ્યા છે. આ વિવાદ દિવસે દિવસે વકરતો હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. આજે AMCની મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર્સના એક જૂથે વોક આઉટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઈકબાલ શેખ, તસલીમ આલમ તીરમીઝી, રાજશ્રીબેન કેસરી, નિરવ બક્ષી અને ઝુલ્ફીકર ખાન પઠાણ સહિતના કોર્પોરેટર્સે વિપક્ષ નેતા બદલવામાં ન આવતા વોકઆઉટ કરીને વિરોધ કર્યો હતો. તેઓ પક્ષ પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી વિપક્ષ નેતાને લઈ ચાલી રહેલા વિવાદમાં કોઈ અંત ન આવતા હવે કોર્પોરટર્સ રાજીનામ સુધીની ચિમકી પ્રદેશ નેતૃત્વને આપી ચુક્યા છે. જેનાથી વિરોધ પક્ષમાં રહેલી કોંગ્રેસ પોતાના જ કોર્પોરેટર્સની નારાજગી દૂર કરવામાં નિષ્ફળ નિવડી છે. જો કોંગ્રેસ પોતાના જ પક્ષનો મુદ્દે છેલ્લા લાંબા સમયથી ઉકેલ ન લાવી શકતી હોય તો શહેરની જનતાના પ્રશ્નોનો મુદ્દો કેવી રીતે ઉઠાવશે તે એક મોટો સવાલ ઊભો થયો છે.

કોંગ્રેસમાં વિપક્ષ નેતાને લઈ ચાલી રહેલા વિખવાદ અંગે કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક વર્ષ સુધી વિપક્ષ નેતા વગર ચાલી હતી. જેમાં કોર્પોરેટર્સમાં બે ફાટા પડ્યા હતા. ત્યાર બાદ આ સમ્રગ મામલો જે તે સમય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સુધી પહોંચ્યો હતો. આ મામલે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ વિવાદનું નિરાકરણ લાવતા બંને જૂથોના કોર્પોરેટર્સને એક વર્ષ માટે વિપક્ષ નેતા બનાવવા માટે રસ્તો કાઢ્યો હતો. જે બાદ તમામ કોર્પોરેટર્સ સહમતિથી શહેઝાદ ખાન પઠાણને કોંગ્રેસના AMCના વિપક્ષ નેતા બનાવામાં આવ્યા હતા. જોકે તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂર્ણ થઈ ચૂક્યો છે. તેમ છત્તાં તેઓ દ્વારા વિપક્ષ પદ છોડવા તૈયાર નથી. જે બાબાતને લઈ અમારા દ્વારા વાંધો પણ ઉઠાવામાં આવ્યો હતો અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. હાલ શહેઝાદ ખાનને એક વર્ષ સાત મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ નેતા બદલાવાની માગ સાથે અમે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી હતી, જે બાદ તેમણે 15 દિવસમાં આ અંગે નિર્ણય કરવામાં માટે જણાવ્યું હતું. તેમના દ્વારા આખ આડા કાન કરવામાં આવતા કોઈ સકારત્મક રિસપોન્સ ન મળતા અમે 14 જેટલા કોર્પોરેટર્સ દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં અમે લોકોએ AICCના જનરલ સક્રેટરી કે. સી. વેણુગોપાલને રજૂઆત કરી હતી. જેમાં તેમણે 50 મિનિટ સુધી એક-એક કોર્પોરેટર્સની રજૂઆત સંભાળી હતી. તેમણે આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે પણ બાહેંધરી આપી હતી. જોકે અમદાવાદ આવ્યા બાદ પણ વિપક્ષ નેતા અંગે કોઈ નિર્ણય કરવામાં ન આવતા કોર્પોરટર્સ પ્રદેશ નેતૃત્વની સાથે કોંગ્રેસ હાઈકમાન્ડથી ખૂબ નારાજ ચાલી રહ્યા છે. તેમણે આ બાબતે મેઈલ કરી ફરી એકવાર હાઈકમાન્ડનું ધ્યાન દોર્યું છે.

તેમણે કહ્યું કે, આ બાબતને લઈ અમે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેને પણ મળવાના હતા અને વિપક્ષ નેતાને લઈ રજૂઆત કરવાના હતા. જોકે તેમણે કર્ણાટક કોઈ કાર્યક્રમમાં હોવાથી તેઓ દિલ્હીમાં ન હતા. જેના કારણે અમે મળી શક્યા ન હોતા. અમારી માગ છે કે, વહેલામાં વહેલા તકે વિપક્ષ નેતા બદલાવા અંગે કોઈ સકારત્મક નિર્ણય લેવામાં આવે નહીં તો આગામી દિવસોમાં અમારા જૂથના કોર્પોરેટર્સ રાજીનામું આપવા વિચાર નહી કરીએ.

ઉલ્લેખનીય છે કે, જેતે સમયે શહેઝાદ ખાન પઠાણને AMCના વિપક્ષના નેતા બનાવાની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તેમના કોંગ્રેસના કોર્પોરેટર્સોએ જ વાંધો ઉઠાવ્યો હતો અને તેમની પર અનેક આક્ષેપો કર્યા હતા, સાથે જ તેમને વિપક્ષના નેતા ન બનાવા માટે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પોતાના જ પક્ષના કોર્પોરેટર્સની રજૂઆતોને ધ્યાનમાં ન લઈને શહેઝાદ ખાન પઠાણને વિપક્ષના નેતા બનાવામાં આવ્યા હતા. તે સમયે પણ કોંગ્રેસ કોર્પોરેટરનું એક જુથ રાજીનામું આપવા માટે કોંગ્રેસ ઓફિસે પહોંચી ગયું હતું. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલને કમાન સોપવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે નારાજ કોર્પોટરના જુથ દ્વારા શક્તિસિંહ ગોહિલને પણ રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ મામલે કોઈ નિરાકણ આવ્યું નહીં અને કોર્પોરેટરને દિલ્હી સુધી રજુઆત કરવા માટે પહોંચવુ પડ્યું. ગુજરાત કોંગ્રેસે બંને જુથના કોર્પોરેટરને એક-એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવા માટેની બાયધરી આપી હતી, તો હવે કેમ છટકબારી કરવામાં આવી રહી છે?

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular